ભારત દેશમાં ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટનાગ્રસ્ત ટ્રેકનું સમારકામ પૂર્ણ થઈ ગયું છે. રવિવારે મોડી રાતથી ટ્રેનોની અવરજવર શરૂ થઈ ગઈ છે. બીજી તરફ રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ 2 જૂનથી બાલાસોરના બહનગા બજાર સ્ટેશન પર રોકાયા હતા. રાહત અને સમારકામના કામનું નિરીક્ષણ કર્યું.

દુર્ઘટનાના 51 કલાક બાદ જ્યારે પ્રથમ ટ્રેનને ટ્રેક પર ફ્લેગ ઓફ કરવામાં આવી ત્યારે રેલવે મંત્રી હાથ જોડીને ઉભેલાં જોવા મળ્યા હતા. ત્યારે તેમણે કહ્યું કે અમારી જવાબદારી હજુ પૂરી થઈ નથી. અમારો ધ્યેય ગાયબ થયેલા લોકોને શોધવાનો છે. આટલું કહીને તેઓ ભાવુક થઈ ગયા.

યુવક બેભાન હાલતમાં મળી આવ્યો
અકસ્માતના 48 કલાક બાદ રવિવારે રાત્રે સ્થળ પરથી એક મુસાફર જીવતો મળી આવ્યો હતો. અકસ્માત સમયે તે કોચમાંથી બહાર નીકળીને દૂર ફેંકાઇ ગયો હતો અને બેભાન થઈને પડ્યો હતો. યુવકની ઓળખ આસામના રહેવાસી દિલાલ તરીકે કરવામાં આવી છે. તેને તાત્કાલિક બચાવીને સારવાર માટે મોકલવામાં આવ્યો હતો, જ્યાં તેને ભાન આવ્યું. આ ઘટનામાં તેનો ફોન અને પાકીટ ગુમ થઈ ગયા હતા.રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે રવિવારે સાંજે કહ્યું કે અત્યાર સુધી મળેલી માહિતી બાદ રેલ્વે બોર્ડ દ્વારા સીબીઆઈ તપાસની ભલામણ કરવામાં આવી છે.


રેલ મંત્રી વૈષ્ણવે રવિવારે સાંજે બાલાસોરમાં કહ્યું, 'ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગમાં ફેરફારને કારણે આ દુર્ઘટના થઈ. જવાબદારોની પણ ઓળખ કરવામાં આવી છે.
રેલવે બોર્ડના ઓપરેશન એન્ડ બિઝનેસ ડેવલપમેન્ટ મેમ્બર જયા વર્માએ દિલ્હીમાં કહ્યું કે શરૂઆતમાં એવું લાગે છે કે સિગ્નલમાં ખામી હતી.
દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોની સંખ્યા પર બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું હતું કે અકસ્માતમાં જીવ ગુમાવનારાઓની યાદી અમારી પાસે વધી રહી છે, પરંતુ તેમની પાસે ઓછી થઈ રહી છે. આ દુર્ઘટનામાં પશ્ચિમ બંગાળના 162 લોકોએ જીવ ગુમાવ્યા છે. સંપૂર્ણ યાદી હજુ ઉપલબ્ધ નથી. આવા ઘણા લોકો મુસાફરી કરે છે જેઓ યાદીમાં નથી. હજુ સુધી 182 મૃતદેહોની ઓળખ થઈ શકી નથી.