બનાસકાંઠા જિલ્લામાં આવેલા ભારે વાવાઝોડાએ ડીસા પંથકમાં મોટું નુકસાન કર્યું હતું. અલગ અલગ વિસ્તારોમાં 100થી વધુ વીજ થાંભલાઓ જમીન દોસ્ત થઈ જતા અનેક ગામડાઓમાં અંધારપટ છવાયો હતો. ત્યારે આજે યુજીવીસીએલ દ્વારા અલગ અલગ ટીમો બનાવી રીપેરીંગની કામગીરી શરૂ કરાઇ છે.

ડીસા પંથકમાં બે દિવસ અગાઉ ભારે વાવાઝોડાના કારણે મોટું નુકસાન થયું છે. જેમાં થેરવાડા, કંસારી, રાણપુર અને બાઈવાડા સહિત સાત જેટલા ગામડાઓમાં સૌથી વધુ થાંભલાઓ જમીન દોષ થઈ જતાં વીજળી ડુલ થઈ ગઈ હતી. 50 કલાક બાદ પણ હજુ સુધી વીજ પુરવઠો શરૂ થયો નથી. જેથી લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

યુજીવીસીએલ દ્વારા આજે અલગ અલગ ટીમો બનાવી લાઈન રીપેરીંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં થેરવાડા ગામમાં પણ અનેક થાંભલાઓ પડી ગયા હતા અને વાયરો પણ તૂટી ગયા હતા. જેથી યુજીવીસીએલની ટીમ દ્વારા થાંભલાઓ ઊભા કરી, ફરી નવી લાઇન ખેંચવાની કામગીરી શરૂ કરી છે. જેથી ઝડપથી વીજપુરવઠો શરૂ કરી શકાય અને લોકોની મુશ્કેલીઓનો અંત આવી શકે.