બનાસ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે દેહ અર્પણ કરાયો..

ઊંઝાના ૮૫ વર્ષીય પટેલ મણીબેનના અવસાન બાદ કાયાને સમાજ સેવા માટે આપી..

લોકો દેહદાન અંગે જાગૃત બની પોતાના સ્વજનોના અવસાન બાદ નશ્વર શરીરનું મેડિકલના વિદ્યાર્થીઓ માટે દાન કરે તો મેડિકલ ક્ષેત્રમાં વધુને વધુ પ્રગતિ થઈ શકે..

બનાસ મેડીકલ કોલેજના ચેરમેનશ્રી પી. જે. ચૌધરીના માર્ગદર્શન હેઠળ ચાલતી પશુપાલકોની પોતાની માલિકીની પુરા ભારતભરની એકમાત્ર શ્રી ગલબાભાઈ નાનજીભાઈ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત મેડીકલ કોલેજ તેમજ સિવિલ જનરલ હોસ્પિટલ તબીબી સેવાઓમાં મોખરે છે ત્યારે ઊંઝા ગામના એક પરિવારે વૃદ્ધના અવસાન બાદ તેમના દેહનું દાન કરીને સમાજને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. 

          મરણ બાદ પણ પોતાની કાયા સમાજને ઉપયોગી બની રહે અને મેડિકલના વિદ્યાર્થીઓને માનવ દેહના અભ્યાસમાં તેમની કાયા મદદરૂપ બને તે માટે ૮૫ વર્ષીય પટેલ મણીબેન ગણેશભાઈનું દેહાંત થતા દેહનું દાન શ્રી સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ ઊંઝાને મળતા ટ્રસ્ટીઓ દ્વારા બનાસ મેડિકલ કોલેજ મોરિયા ખાતે માનવ દેહના અભ્યાસમાં તેમની કાયા મદદરૂપ બને તેવા ઉમદા હેતુથી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના અભ્યાસ માટે દાન કરવામાં આવ્યું હતું. આ માનવ શરીર જેટલું જીવિત અવસ્થામાં કામ લાગે છે, તેટલું મૃત અવસ્થામાં પણ ઉપયોગી સાબિત થતુ હોય છે ત્યારે સમાજ માટે ઉપયોગી બનવાના આશયથી ઊંઝા ગામના એક પટેલ પરિવારે વૃદ્ધના અંગનું આજે દાન કર્યું છે અને સમાજને અંગદાનનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. 

          માનવ શરીર કુદરતી છે અને તે કોઈ ફેક્ટરીમાં બનાવી શકાતું નથી. એક તરફ અત્યારે માનવ જીવન પર અનેક બિમારીઓ પ્રહાર કરી રહી છે ત્યારે આ બિમારીઓ સામે માનવ જાતિને બચાવવા માટે મેડિકલના વિદ્યાર્થીઓ નવી નવી શોધ કરી રહ્યાં છે. આ વિદ્યાર્થીઓને પોતાના અભ્યાસ માટે માનવ શરીરની જરૂરિયાત ઊભી થતી હોય છે અને માનવ શરીરના બંધારણના અભ્યાસ માટે તે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે પરંતુ માનવ શરીરની અછત હોવાના લીધે વિદ્યાર્થીઓને અગવડ ન પડે તે માટે ઊંઝાના ૮૫ વર્ષીય મણીબેનનું અવસાન થયા બાદ તેમના પરિવારે તેમના દેહને મેડિકલ વિદ્યાર્થીઓના અભ્યાસ માટે દાન કર્યું છે. વર્તમાન સમયમાં નવી નવી બિમારીઓ વચ્ચે મેડિકલ સુવિધા જ એકમાત્ર રામબાણ ઈલાજ છે પરંતુ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે પૂરતા પ્રમાણમાં માનવ શરીર ના મળતા અભ્યાસ કરવામાં મુશ્કેલી ઊભી થઈ રહી છે. ત્યારે લોકોએ દેહદાન અંગે જાગૃત બનીને પોતાના સ્વજનોના અવસાન બાદ નશ્વર શરીરનું મેડિકલના વિદ્યાર્થીઓ માટે દાન કરવામાં આવે તો મેડિકલ ક્ષેત્રમાં વધુને વધુ પ્રગતિ થઈ શકે અને વર્તમાન સમયમાં સમાજની પણ આ માંગ પણ પુરી થઈ શકે એમ છે ત્યારે લોકોએ જાગૃત બનીને એક કદમ આ દિશા તરફ પણ ઉઠાવવું જોઇએ કે, જેથી ભવિષ્યમાં આવનારી આપણી પેઢીને પણ કેટલીય બિમારીઓથી બચાવવા માટે આરોગ્યની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં મેડિકલ વિભાગ સક્ષમ બની શકે. સ્વર્ગસ્થના દેહદાનને શ્રી સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ ઊંઝાના ટ્રસ્ટીશ્રી રમણભાઈ સથવારા, તુષારભાઈ પટેલ દ્વારા સ્વીકાર કરી બનાસ મેડીકલ કોલેજને અર્પણ કર્યો હતો. જેમાં કોલેજના સી.ઇ.ઓ ડૉ. મનોજ સત્તીગેરી, ડીન ડૉ. કે. કે. શર્મા, એનાટોમી વિભાગના ડૉ. ઉચિત પ્રજાપતિ અને સ્ટાફ દ્વારા દેહદાનના ઉત્તમ કાર્ય માટે મેડીકલ કોલેજે આભાર વ્યક્ત કરી દિવ્ય આત્માને વંદન કર્યા હતા.