સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના નીનામા ગામે શ્રમજીવી પરિવારના રહેણાંક મકાનમા અચાનક આગ લાગી ગઈ હતી. જેમાં ઘરનો બધો જ માલસામાન બાળીને રાખ થઇ ગયો હતો. આગ મોટી હોવાના કારણે ચોટીલા ફાયરબ્રિગેડને બોલાવવામાં આવતા તેણે આગ પર કાબૂ મેળવ્યો હતો. સાયલા તાલુકાના નીનામા ગામમાં રહેતા અશોક બચુભાઈ ચોવસિયા મજૂરી કામ અર્થે વાપી-વલસાડ તરફ ગયા હતા. ત્યારે તેમના ઘરે અચાનક ભયાવહ આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતા જ ગામના સરપંચ તથા અન્ય ગ્રામજનો આગ ઓલવવા માટે ત્યાં પહોંચી ગયા હતા.પરંતુ એટલી વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા અશોકભાઈનું ઘર અને ઘરમાં રહેલી સમગ્ર ઘરવખરી પળવારમાં જ બળીને રાખ થઇ ગઈ હતી. ઉપરાંત ટૂંક સમયમાં જ તેમના દિકરાના લગ્ન હોવાના લીધે કપડા સહિતની તેમણે કરેલી ખરીદી પણ આગમાં હોમાઈ ગઈ હતી. આગની વિકરાળતા ખુબ હોવાના કારણે ચોટીલા ફાયર બ્રિગેડને પણ બોલાવવી પડી હતી. નોંધનીય છે કે, આગમાં કોઈ જાનહાનિ થઇ ન હતી. આગ લાગવા પાછળનું કારણ હાલ અકબંધ છે.