નિર્દોષ હોવાની રજૂઆત: ડાવસના લોકો વિરુદ્ધ થયેલી ફરિયાદ સામે મામલતદાર-નાયબ કલેક્ટરને આવેદન; કહ્યું- આ અરજીઓ ખોટી છે

ડીસા તાલુકાના ડાવસ ગામે રહેતા હરીજી કુંભારે જિલ્લા કલેક્ટરમાં અરજી કરી કેટલાક લોકોએ ગામમાં જમીન પચાવી પાડી હોવાની ફરિયાદ કરી, તેમની સામે ગુજરાત જમીન પચાવી પાડવા પ્રતિબંધ અધિનિયમ અંતર્ગત ગુનો નોંધવા લેખિત ફરિયાદ કરી હતી. જેની સામે ગ્રામજનોએ ડીસા મામલતદારને આવેદનપત્ર આપ્યું છે. જેમાં જણાવ્યું છે કે, તેઓના વિરુદ્ધ કલેક્ટરમાં કરાયેલી અરજી ખોટી છે. તેઓની પાંચ પેઢીઓ 200 વર્ષ કરતા પણ જુના સમયથી ડાવસ ગામમાં રહે છે અને આઝાદી અગાઉથી તેઓ પાક્કા મકાનો ધરાવે છે. 

તેમજ ઘરવેરો અને પંચાયત વેરો ભરે છે અને વર્ષોથી લાઈટ કનેક્શન પણ ધરાવે છે. તેઓએ કોઈ જ દબાણ કરેલું ન હોવા છતાં ગામના એક વ્યક્તિ તેઓને હેરાન કરવાના બદ ઈરાદાથી આ ખોટી અરજી કરેલી છે. જેથી સરકારી કક્ષાએથી આ જગ્યાએ માપણી કરી આવી ખોટી અરજી કરનાર સામે કાર્યવાહી કરવામાં આવે તેવી આવેદનપત્રમાં માગણી કરાઈ હતી.