સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ) હેઠળ પાલનપુર ખાતેથી જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરેએ ૧૨ ઇ-વ્હીકલને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

સૂકા અને લીલા કચરાના કલેક્શન માટે યાત્રાધામ અંબાજી સહિત જિલ્લાના ૨૮ ગામોની પસંદગી કરાઇઃ-- જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે

           

ગામડાઓને સુંદર- સ્વચ્છ રાખવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરાવેલ સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ) હેઠળ આજે પાલનપુર જિલ્લા પંચાયત ખાતેથી બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરેએ ૧૨ જેટલાં ઇ-વ્હીકલની ચાવી એનાયત કરી વાહનોને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જણાવ્યું કે, સ્વચ્છ ભારત મિશન ગ્રામિણ અંતર્ગત આજે જિલ્લા પંચાયત ખાતેથી ૧૨ જેટલાં ઇ-વ્હીકલ્સ કચરાના કલેક્શન માટે ગ્રામ પંચાયતોને સુપ્રત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત બીજા ૧૬ ઇ-વ્હીકલની ડિલીવરી ટૂંક સમયમાં મળવાની છે. આમ કુલ મળી ૨૮ જેટલાં ઇ-વ્હીકલ જિલ્લામાં ફાળવવામાં આવશે. દરેક તાલુકાને બે- બે વ્હીકલ મળે તેવું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, સૂકા અને લીલા કચરાન અલગ અલગ કલેક્શન માટે પવિત્ર યાત્રાધામ અંબાજી સહિત જિલ્લાના ૨૮ જેટલાં ગામોની પસંદગી કરવામાં આવી છે. 

         ડીસા તાલુકાના વેળાવાપુરા ગ્રામ પંચાયતના સરપંચશ્રી હૈદરઅલી હબીબભાઇ સેલીયાએ જણાવ્યું કે, આજે અમારી પંચાયતને રાજ્ય સરકારે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સૌજન્યથી ઇ-રિક્ષા આપી છે. પહેલાં અમે ટ્રેક્ટર ભાડે રાખીને ગામમાંથી કચરો એકઠો કરતા હતા, પરંતુ ટ્રેક્ટર ગામના દરેક મહોલ્લા અને ગલીઓમાં જઇ શકતું ન હોવાથી અમને ઘણી તકલીફો અને અગવડો પડતી હતી. એ તકલીફો દૂર કરવા રાજ્ય સરકારે ઇ-રીક્ષા આપી છે એ ગલીઓ- ગલીઓમાં જઇને ઘન અને પ્રવાહી કચરાને એકઠો કરશે જેનાથી ગામને સ્વચ્છ રાખવામાં ઉપયોગી થશે. રાજ્ય સરકારનું આ પગલું ખુબ જ આવકારદાયક છે તેમ સરપંચશ્રીએ જણાવ્યું હતું.  

             આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી આર.આઇ.શેખ, અગ્રણીશ્રી અશ્વિનભાઇ સક્સેના સહિત ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.