દરેક હિન્દૂની ઈચ્છા હોય છે કે જીવનમાં એકવાર બદ્રીનાથ ધામના દર્શન કરે. ભક્તો બદ્રીનાથ ધામના દર્શન કરવા માટે તેના કપાટ ખુલવાની આખું વર્ષ રાહ જુવે છે. બદ્રીનાથ ધામ ચાર ધામમાંથી એક છે. ભગવાન વિષ્ણુનું પ્રમુખ ધામ કહેવાય છે. ભગવાન વિષ્ણુના 24 અવતારોમાંથી એક નર અને નારાયણ ઋષિની તપોભૂમિ એટલે બદ્રીનાથ ધામ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર નારાયણ એ આ જ સ્થળે નર સાથે તપસ્યા કરી હતી.

બદ્રીનાથ મંદિરના દરવાજા કેટલી ચાવીથી ખુલે છે

આ વર્ષે બદ્રીનાથ ધામના દરવાજા 27 એપ્રિલ 2023ના રોજ ખુલશે. આ બદ્રીનાથ મંદિરના દરવાજા એક ચાવીથી નથી ખુલતા પરંતુ ત્રણ-ત્રણ ચાવીઓથી ખુલે છે અને આ ત્રણ ચાવી અલગ-અલગ લોકો પાસે છે. માહિતી અનુસાર, એક ચાવી તેહરી રાજ પરિવારના કુલ પુજારી પાસે છે, બીજી બદ્રીનાથ ધામના હક હુંક્ક ધારીમાં સામેલ મહેતા લોકો પાસે છે અને ત્રીજી હક ભંડારી લોકો પાસે છે. આ ત્રણ ચાવી લગાવવાથી જ બદ્રીનાથ મંદિરના દરવાજા ખુલે છે.

બદ્રીનાથ ધામના દરવાજા 6 મહિના સુધી બંધ રહે છે

તમને જણાવી દઈએ કે દર વર્ષે બદ્રીનાથ સહિત કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી મંદિરોના દરવાજા છ મહિના માટે ભક્તો માટે બંધ રાખવામાં આવે છે. માન્યતાઓ અનુસાર, બદ્રીનાથને બ્રહ્માંડનું આઠમું વૈકુંઠ કહેવામાં આવે છે, અહીં વિષ્ણુજી 6 મહિના સુધી જાગતા રહે છે અને 6 મહિના સુધી ઊંઘે છે. ઉપરાંત, શિયાળાની મોસમમાં આ સ્થળોએ ઘણી હિમવર્ષા થાય છે.

મૂર્તિનું ઘી દેશની હાલત કહે છે

નોંધનીય છે કે બદ્રીનાથ ધામના દરવાજા બંધ થયા બાદ ભગવાન વિષ્ણુની મૂર્તિ પર ઘીનો લેપ લગાવવામાં આવે છે. જ્યારે દરવાજા ખોલવામાં આવે છે ત્યારે રાવલ પહેલા મંદિરમાં પ્રવેશ કરે છે. એવું માનવામાં આવે છે કે જો મૂર્તિને સંપૂર્ણ રીતે ઘીથી લપેટાયેલી હોય તો તે વર્ષે દેશમાં સમૃદ્ધિ આવશે. બીજી તરફ જો ઘી ઓછું કે સુકાઈ ગયું હોય તો દેશમાં અતિવૃષ્ટિ થઈ શકે છે.

બદ્રીનાથ ધામ બે પર્વતોની વચ્ચે આવેલું છે

બદ્રીનાથ ધામ ઉત્તરાંચલમાં અલકનંદા નદીના કિનારે નર અને નારાયણ નામના બે પર્વતોની વચ્ચે આવેલું છે. અહીં નર-નારાયણની મૂર્તિની પૂજા થાય છે. મંદિરમાં શ્રી હરિ વિષ્ણુની મૂર્તિ શાલગ્રામશિલાની બનેલી છે, જે ચતુર્ભુજ ધ્યાનમાં રહે છે. એવું કહેવાય છે કે જે પણ ભક્ત પોતાની મનોકામના લઈને બદ્રીનાથ ધામમાં આવે છે, તે ચોક્કસપણે પૂર્ણ થાય છે. બદ્રીનાથ ધામની મુલાકાત લેનારા ભક્તો પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્‍મીની કૃપા હંમેશા વરસતી રહે છે.