ખંભાતના શકરપુર ખાતે રસ્તામાં ઉભી રાખેલી બાઇકની પૂછપરછમાંથી બોલાચાલી સુધી પહોંચ્યો હતો.અને બાઇક ચાલકે ડેકીમાંથી ચપ્પુ કાઢી ૪૬ વર્ષીય ગોવિંદભાઈના પેટમાં મારી દેતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

ખંભાતના ટેકરાફળિયામાં રહેતા ગોવિંદભાઈ અંબાલાલ પરમાર પોતાના ઘર પાસે આવેલા ભાથીજી મહારાજના મંદિરે બેસવા ગયા હતા ત્યાં એક બાઇક રસ્તામાં ઉભી હતી.તેમણે બાઇક કોની છે તે બાબતે આજુબાજુના રહીશોને પૂછપરછ કરી હતી.અચાનક મોસમપુરામાં રહેતા રાકેશભાઈ મેલાભાઈ ઝાલા આવી પહોંચી ગોવિંદભાઈને ગાળો બોલવા લાગ્યા હતા.જ્યાં તેઓએ ગાળો બોલવાની ના પાડતા રાકેશભાઇ વધુ ઉશ્કેરાઈ ગયા હતા અને ડીકીમાં મુકેલ ચપ્પુ ગોવિંદભાઈના પેટમાં મારી દઈ ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.જેને કારણે ઇજાગ્રસ્તને જનરલ હોસ્પિટલમાં બાદ કરમસદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.હાલ તેઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.પોલીસે ગોવિંદભાઈ પરમારની ફરિયાદને આધારે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

(સલમાન પઠાણ-ખંભાત)