દેશમાં કોરોના વધતા સરકાર ફરી વાર એક્શનમાં
દિલ્હી, કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ઓડિશા, તમિલનાડુ અને તેલંગાણાને પાઠવ્યો પત્ર
વેક્સિનેશન અને પાંચ પ્રકારની રણનીતિનું પાલન કરવાનો આપ્યો આદેશ 
દેશમાં મંકિપોક્સની વચ્ચે કોરોનાનો ખતરો વધી રહ્યો છે. રાજ્યોએ હજુ જેવું જોઈએ તેવી કાર્યવાહી કરી રહ્યાં નથી, આથી સરકારે તેમને ફરી વાર ચેતવણી આપી છે અને તેમના આદેશનું પાલન કરવાની સલાહ આપી છે. 

પાંચ રાજ્યોમાં વધી રહ્યા છે કોરોના કેસ 
કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે દિલ્હી, કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ઓડિશા, તમિલનાડુ અને તેલંગાણાના આરોગ્ય સચિવોને પત્ર લખ્યો છે અને તેમને રસીકરણ વધારવાની તથા પાંચ પ્રકારની રણનીતિનું પાલન કરવાની સલાહ આપી છે. આ અગાઉ પણ કેન્દ્ર સરકારના આરોગ્ય સચિવ ભૂષણે રાજ્યોને પત્ર પાઠવીને વેક્સિનેશન વધારવા અને પાંચ પ્રકારની રણનીતિ લાગુ પાડવાનો આદેશ આપ્યો હતો. 

રાજ્યો જેવો જોઈએ તેવો પ્રતિસાદ આપી રહ્યાં નથી 
કેન્દ્ર સરકારની વારંવારની વિનવણી છતા પણ રાજ્યો હજુ સુધી જેવો જોઈએ તેવો પ્રતિસાદ આપી રહ્યાં નથી આથી સરકારે તેમને ફરી વાર ઠપકાના રુપે તત્કાળ તેના આદેશનું પાલન કરવાનો આગ્રહ રાખ્યો છે. આરોગ્ય સચિવે ઉમેર્યું હતું કે, રાજ્યના આરોગ્ય સચિવોને પત્ર એવા સમયે મોકલવામાં આવ્યો છે જ્યારે દેશમાં કોરોના ચેપના કેસો સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 19,406 કેસ નોંધાયા છે. સાથે જ 49 દર્દીઓના મોત પણ થયા છે. ઉલ્લેખનીય છે અગાઉ પણ બે વાર કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને વેક્સિનેશન વધારવાનું અને પાંચ સ્તરીય રણનીતિ અપનાવવાનો આદેશ આપ્યો હતો.

પાંચ પ્રકારની રણનીતિ અપનાવો
ટેસ્ટિંગ
ટ્રેકિંગ
નિદાન
કોરોનાના નિયમોનું પાલન
વેક્સિનેશનમાં ઝડપ