મુંબઈ જઈ રહેલી વિસ્તારાની ફ્લાઈટ સાથે પક્ષી ટકરાયું
વારાણસી એરપોર્ટ પર લેન્ડ કરાયું વિમાન
એક જ દિવસમાં બે આવી ઘટના બની

મુંબઈ જઈ રહેલી વિસ્તારા ફ્લાઈટ સાથે પક્ષી ટકરાઈ ગયું હતું. જેને લઈને પાયલટે વિમાન વારાણસી એરપોર્ટ પર લેન્ડ કરાવ્યું હતું. એક જ દિવસમાં આ બીજી એવી ઘટના છે, જ્યાં પક્ષી ટકરાવાના કારણે વિમાનને તુરંત લેન્ડીંગ કરાવવું પડ્યું હોય.

આ અગાઉ અમદાવાદથી ચંડીગઢ જઈ રહેલી ફ્લાઈટ સાથે પક્ષી ટકરાયું હતું. ત્યાર બાદ ફ્લાઈટને ડાયવર્ટ કરવામાં આવી હતી. DGCAના જણાવ્યા અનુસાર, ગો ફર્સ્ટની ફ્લાઈટ અમદાવાદથી ચંડીગઢ માટે ઉડાન ભરી હતી.  ત્યારે અચાનક એક પક્ષી ટકરાઈ ગયું હતું અને ફ્લાઈટને ડાયવર્ટ કરવી પડી હતી. હવે આ દુર્ઘટના બાદ વિસ્તારાની ફ્લાઈટ સાથે પણ આવી જ દુર્ઘટના થઈ છે. 

વિસ્તારાએ કહ્યું છે કે, ફ્લાઈટ UK 622 વારાણસીથી મુંબઈ જઈ રહી હતી. પણ એક પક્ષી ટકરાવાના કારણે તેને પાછુ વારાણસી લેન્ડ કરાવવું પડ્યું હતું. હાલમાં ફ્લાઈટની તપાસ થશે, તેથી અન્ય એક વિમાન દિલ્હીથી વારાણસી માટે મોકલવામાં આવ્યું છે. અમારો પ્રયત્ન છે કે, મુસાફરોને સમસ્યાનો સામનો ન કરવો પડે. તેમની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. 

આમ જોવા જઈએ તો, છેલ્લા કેટલાક મહિનાથી એરલાઈન વિમાન કેટલીય દુર્ઘટનાનો શિકાર બન્યા છે. ક્યાંક ઈમરજન્સી લેન્ડીંગ તો, તો વળી ક્યાં ટેક ઓફ દરમિયાન રન વે પરથી ઉતરી જવા, મોટા ભાગની ઘટનાઓ સ્પાઈસજેટની ફ્લાઈટમાં જોવા મળી છે. સાથે જ ઈંડીગોની ફ્લાઈટમાં પણ ટેકનિકલ ખામીઓ સર્જાવાની ઘટનાઓ આવી છે.