બનાસકાંઠા ના ડીસામાં એક યુવકે ગાયોના રક્ષણ માટે અને સંસ્કૃતિના જતન માટે સંસાર નો ત્યાગ કર્યો છે. સાત વર્ષ સુધી સતત ગાયોની સેવા અને પ્રાકૃતિક ખેતી પ્રત્યે લોકોને જાગૃત કર્યા બાદ હવે આજે વિવિધ ગુરુઓ ના આશીર્વાદથી દીક્ષા લઇ આ યુવકે સમાજ સેવાના પથ પર આગળ વધવાનું શરૂ કર્યું છે

આ છે મહંત ભરતપુરી. બનાસકાંઠાના ટોટાણા ગામે જન્મેલા ભરતપુરીને નાનપણથી જ સમાજસેવા પ્રત્યે ખૂબ જ લગાવ હતો. ત્યારે એક દિવસ તેમના પિતાએ પણ ત્રણેય પુત્રોને બોલાવી સમાજ સેવા કોને કરવી છે તેમ પૂછતા ભરતપુરીએ તરત જ હા કહી દિધી અને માત્ર 15 વર્ષ ની ઉંમરે ગૃહ ત્યાગ કરી સમાજ સેવાનો માર્ગ પકડ્યો અને આ જ લગી તેઓ આ પથ પર ચાલી રહ્યા છે. ત્યારબાદ તેમણે સાયકોલોજી MA અને બેંગ્લોર ખાતે બીએસસી પણ કર્યું હતું તે સમયે તેમણે ધાર્યું હોત તો સારી જગ્યાએ નોકરી મેળવી સંસાર નો આનંદ માણી શક્યા હોત પરંતુ તેમના મનમાં સમાજ પ્રત્યેની કરુણા નો ભાવ હોવાથી તેઓએ ડીસા તાલુકાના જુનાડીસા પાસે આવેલી રાધેક્રિષ્ના ગૌશાળામાં ગાયોની સેવા કરવાનું શરૂ કર્યું. સતત 7 વર્ષ સુધી તેમને ગાયોના રક્ષણ માટે દિવસ રાત પ્રયાસો કર્યા અને લોકોને પણ રાસાયણિક ખેતી ના બદલે પ્રાકૃતિક ખેતી કરી સમાજને રોગમુક્ત કરવા સમજાવ્યા. ત્યારબાદ તેઓએ પાલનપુરના હાથીદરા શિવમંદિર ના નિરંજની અખાડા ના મહંત દયાલપુરી ના આશીર્વાદ મેળવી દીક્ષા ગ્રહણ કરવા માટેની કસોટી આપવા લાગ્યા. સમાજ પ્રત્યેની તેમની નિષ્ઠા ચારિત્ર અને ગાયો પ્રત્યેનો પ્રેમ જોઈએ આખરે તેમને દીક્ષા મેળવવાની પરવાનગી મળી ગઈ અને આજે તેમણે ગાયોના રક્ષણ માટે અને સંસ્કૃતિના જતન માટે દીક્ષા રક્ષણ કરી હતી. દીક્ષા ગ્રહણ કરતા જ વિવિધ સંતો, મહંતોએ સમાજ કલ્યાણ ના માર્ગ પર સદાય તેઓ આગળ વધે તેવા આશીર્વાદ આપ્યા હતા

દિક્ષા લીધા બાદ મહંત ભરત પુરીએ જણાવ્યું હતું કે તેઓ હંમેશા જીવો ના કલ્યાણ માટે તેમજ ખેડૂતો અને લોકો ગાયના મહત્વને સમજે, ગાયનું પાલન કરે અને ગાય રસ્તા પર રખડતી બંધ થાય તે માટે સતત પ્રયાસો કરતા રહેશે સાથે સાથે લોકો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને પોતાના પરિવાર, સમાજને રોગમુક્ત બનાવે તે માટે પણ તેઓ પ્રયાસો કરતા રહેશે તેમ જણાવ્યું હતું

આ પ્રસંગે મહંત દયાલપુરીએ જણાવ્યું હતું કે ભરતપુરી પાસે કોઈ જ આધાર ન હોવા છતાં પણ તેઓ 150 જેટલી ગાયોનું પાલન કરતાં હતા ગાય પ્રત્યેની તેમની નિષ્ઠા અને લગાવ જોઈ લોકો તેમને હંમેશા મદદ કરતા હતા તેમની આ વાતથી પ્રભાવિત થઈ અમે તેમને દીક્ષા અપાવી છે