શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ' અંતર્ગત જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલની અધ્યક્ષતામાં પાલનપુર ખાતે જિલ્લાની વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ, એનજીઓ, વિવિધ યુનિયનો તથા મંડળોના હોદ્દેદારો સાથે બેઠક યોજાઇ

 આગામી તા. ૧૨ ફેબ્રુઆરી થી ૧૬ મી ફેબ્રુઆરી-૨૦૨૩ દરમિયાન શક્તિપીઠ અંબાજી ખાતે યોજાનાર 'શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ' અંતર્ગત જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલની અધ્યક્ષતામાં પાલનપુર ખાતે જિલ્લાની વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ, એનજીઓ, વિવિધ યુનિયનો તથા મંડળોના હોદ્દેદારો સાથે બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા વધુમાં વધુ લોકો આ પરિક્રમામાં જોડાય અને તેનો બહોળી સંખ્યામાં લાભ લઇ શકે એ માટેની વ્યવસ્થાઓ અને આયોજન યાત્રાળુઓ માટે કરવા બેઠકમાં ઉપસ્થિત પ્રતિનિધિઓને અપીલ કરવામાં આવી હતી.

રાજ્ય સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અને આદ્યશક્તિપીઠ અંબાજી ખાતે આગામી તા. ૧૨ ફેબ્રુઆરીથી ૧૬ મી ફેબ્રુઆરી-૨૦૨૩ દરમિયાન 'શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ' નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તંત્ર દ્વારા ભાદરવી પૂનમના મેળાની જેમ જ યાત્રાળુઓ માટે જમવા, રહેવા, સુવા સહિતની સગવડો સચવાય એ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. 

૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ'માં આવતા યાત્રિકોની આસ્થા અને શ્રદ્ધાને ધ્યાનમાં રાખી તેમને કોઈ પણ પ્રકારની અગવડોનો સામનો ન કરવો પડે અને શાંતિ સલામતી સાથે યાત્રાળુઓ પરિક્રમા કરી શકે એ પ્રકારનું આયોજન હાથ ધરાયુ છે ત્યારે આ મહોત્સવમાં યાત્રાળુઓની સુવિધાઓ સચવાય એ માટે તંત્રની સાથે સાથે વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ, એનજીઓ, વિવિધ યુનિયનો તથા મંડળોનો સાથ સહકાર પણ લેવામાં આવ્યો છે. તેમના દ્વારા પરિક્રમા મહોત્સવમાં ઉભી કરવામાં આવનાર સુવિધાઓ અને વ્યવસ્થાઓની ચર્ચા વિચારણા કરી તેને આખરી ઓપ આપવા અંગે કલેક્ટરશ્રી દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું. તેમજ ઉપસ્થિત તમામ પ્રતિનિધિઓને આ પરિક્રમા મહોત્સવનો લાભ વધુ માં વધુ લોકો લઈ શકે એ પ્રકારની વ્યવસ્થા કરવા અપીલ કરી હતી.