ડીસા-પાલનપુર નેશનલ હાઇવે પર ભોયણ ગામ નજીક મોડી સાંજે અકસ્માત સર્જાયો હોવાની ઘટના બની છે. જેમાં એક રાહદારી રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે અજાણ્યા વાહન ચાલકે રાહદારીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ વાહન ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જ્યારે રાહદારી પરથી ગાડીનું ટાયર ફરી વળતા કમરથી નીચેના ભાગના ચિથરા ઉડી ગયા હતા અને તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

અકસ્માતની ઘટનાને પગલે આજુબાજુના લોકો તેમજ 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી અને તપાસ કરતા મૃતક ખિસ્સામાંથી કૃષ્ણનગર-ડીસાની બસની ટિકિટ મળી આવી હતી. અકસ્માત અંગેની જાણ થતાં જ ડીસા તાલુકા પોલીસ પણ બનાવ સ્થળે પહોંચી હતી અને મૃતકની લાશને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડી તેના વાલી વારસોની શોધખોળ હાથ ધરી હતી.