બનાસકાંઠા જિલ્લાના થરા ખાતે ૩૦ જાન્યુઆરીથી ૫ ફેબ્રુઆરી દરમિયાન થરા સમૈયો (પંચામૃત મહોત્સવ)માં પુનઃપ્રાણપ્રતિષ્ઠાિ મહોત્સવ, ૩૦૦૧ દિકરીઓના સમૂહ લગ્ન, મહારૂદ્ર યજ્ઞ, ભંડારા મહોત્સવ અને સમસ્ત ભરવાડ સમાજના સર્વ પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ્દ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરાયું છે. ૩૧ મી જાન્યુઆરીએ રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે પ્રેરક હાજરી આપી પ્રભુતામાં પગલાં પાડનાર નવદંપત્તિઓને આશીર્વાદ આપ્યા હતા. તેમજ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા સ્થાપિત ગ્વાલીનાથ ગુરુગાદીના ચરણે શીશ નમાવ્યું હતું.મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે જય દ્વારકાધીશ કહેતા આ પ્રસંગે જણાવ્યું કે, ધર્મ ભક્તિ અને સેવાના ત્રિવેણી સંગમ થકી આ પંચામૃત મહોત્સવ રચાયો છે. પૂજ્ય મહંત બ્રહ્મલીન શ્રી શિવપુરી બાપુના દિવ્ય પ્રતાપ અને પ્રેરણાથી આ શક્ય બન્યું છે. ભરવાડ ગોપાલક સમાજે કૃષ્ણમય સંસ્કૃતિને જીવંત રાખી છે, ભગવાન શ્રી કૃષ્ણ એમની સાથે હોવાનો આત્મવિશ્વાસ આ સમાજને આત્મનિર્ભર બનાવે છે. ગુજરાતને ગ્રોથ એન્જીન બનાવવામાં અને ગુજરાતની કલામય સંસ્કૃતિના જતનમાં ભરવાડ સમાજનું બહુમૂલ્ય યોગદાન છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી જેમ સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસના મંત્ર સાથે નાનામાં નાના માણસને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવાની ચિંતા કરે છે એજ રીતે ગોપાલક સમાજે પણ આ મંત્ર અને સંકલ્પથી વિકાસ સાધ્યો છે. સમાજના સર્વાંગી વિકાસ માટે સરકાર સદાય સાથે ઉભી છે એમ જણાવી મુખ્યમંત્રી શ્રીએ સૌનો આભાર માન્યો હતો.મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ભરવાડ સમાજના શૈક્ષણિક વિકાસ માટે સરકાર સમાજની સાથે રહેશે. દરેક સમાજના સાથ અને સહકારથી ભરવાડ સમાજ પ્રગતિ કરી રહ્યો છે ત્યારે આઝાદીના અમુત મહોત્સવ પ્રસંગે આત્મનિર્ભર ગુજરાત સાથે વિકસીત ગુજરાત બનાવવા સૌને આહવાન કર્યું હતું.સમસ્ત ગોપાલક સમાજની ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા સ્થાપિત ગ્વાલીનાથ ગુરુગાદીના વંદનીય મહંત ૧૦૦૮ શ્રી ઘનશ્યામપુરીજી મહારાજે આ પ્રસંગે સમસ્ત ભરવાડ સમાજ અને ગુરૂગાદી વતી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલને આવકાર્યા હતા. પ્રાસંગિક ઉદબોધન કરતા તેમણે કહ્યું કે, ૯૧૪ વર્ષ પહેલાં અહીં થરાની ધરતી પર 3005 દીકરીઓના સમૂહ લગ્ન થયા હતા. ફરી એકવાર ઈતિહાસનું પુનરવર્ત થયું છે ને આજે 3001 દીકરીઓના સમૂહ લગ્ન સૌના સાથ સહકાર સેવા અને સમર્પણથી સંપન્ન થયા છે. આ પ્રસંગે તેમણે સમાજના પરંપરાગત પહેરવેશ એવા પાઘડી અને કોટી પહેરાવી મુખ્યમંત્રીશ્રીનું ખૂબ હર્ષભેર સ્વાગત કર્યું હતું.યજ્ઞ, લગ્ન, ધર્મ અને કર્મના મહાસંગમ સમા આ પંચામૃત મહોત્સવમાં ગોપાલક ભરવાડ સમાજ પણ અન્ય સમાજની સાથે વિકાસ સાધી શકે એ માટે શિક્ષણની જરૂરીયાત પર ભાર મુકતા ગાંધીનગર ખાતે ગોપાલક - ભરવાડ સમાજનું શૈક્ષણીક સંકુલ હોય એવી માંગણી મુખ્યમંત્રીશ્રી સમક્ષ કરી સમાજને શિક્ષણ અપનાવવા અપીલ કરી હતી.ગુરૂગાદી ગ્વાલીનાથના પૂજ્ય બ્રહ્મલીન મહંત શિવપુરીજી મહારાજની મહેચ્છા હતી કે, સમસ્ત ભરવાડ સમાજના પિતૃઓના મોક્ષાર્થે ભાગવત સપ્તાહનો પ્રારંભ કરવો જેનો પણ તા. ૩૧ જાન્યુઆરીથી શુભારંભ થયો છે. જેમાં વ્યાસપીઠ પરથી ભાગવત કથાકાર પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા લાખો ભાવિકોને ભાગવત કથાનો રસપાન કરાવી રહ્યા છે. ત્યારે મુખ્યમંત્રી શ્રીની પ્રેરક ઉપસ્થિતિને વધાવતાં ભાગવત કથાકારશ્રી રમેશભાઇ ઓઝાએ મુખ્યમંત્રીશ્રીનું શાલ ઓઢાડી સન્માન કર્યુ હતું. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઇ ચાૈધરી, ગૃહમંત્રીશ્રી હર્ષભાઇ સંઘવી, મહોત્સવના યજમાનશ્રી બેચરભાઇ ભરવાડ, ધારાસભ્યશ્રી માવજીભાઇ દેસાઈ અને શ્રી લવીંગજી ઠાકોર, અગ્રણીઓ સર્વશ્રી ગુમાનસિંહ ચાૈહાણ, શ્રી અણદાભાઇ પટેલ, કલેક્ટરશ્રી આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે, પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા સહિત અધિકારી-પદાધિકારીઓ સહિત વિશાળ સંખ્યામાં ભરવાડ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.