કોરોના સામે હોસ્પિટલો, ઓક્સિજન પ્લાન્ટ વગેરેની મોકડ્રિલ યોજી સજ્જતાનો દાવો તંત્ર કરી ચૂક્યું છે ત્યારે બીજીબાજુ કચ્છમાં વાસ્તવિકતા પર નજર કરતાં સામૂહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના 25 જેટલા એમ.બી.બી.એસ.ની ગેરહાજરી વર્તાય છે. 

જિલ્લાના એમ.બી.બી.એસ. ડોક્ટરોની સરકારે બોન્ડેડને નીમીને ઘટ?નિવારી ખરી, પણ આવા ડોક્ટરોએ પીજી કોર્સ કરવા સહિતનાં કારણોસર રજા મૂકીને જતા રહેતાં 25 જેટલી ઘટ વર્તાય છે. 

કચ્છમાં 16 સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં નવ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો 67 પૈકી 16માં નિયુક્ત બોન્ડેડમાંથી બે એમ.બી.બી.એસ. રજા મંજૂર કરાવીને ગયા છે, 

જ્યારે અન્યો રજા મૂકી જતા રહ્યા છે, પણ રજા મંજૂર નથી કરી તેથી ગેરહાજર ગણાય તેવું જિલ્લા આરોગ્ય વિભાગના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. એમ.બી.બી.એસ. બોન્ડના સમય દરમ્યાન રજા મૂકે અથવા રાજીનામું આપે ત્યારબાદ કેવા પગલાં લેવાય તે અંગે માહિતી મળી કે બોન્ડનો બાકી રહેતો સમયગાળો પીજી કર્યા બાદ પૂરો' કરવો પડે. જો રાજીનામું આપે તો સરકાર ગાઇડલાઇન મુજબ નાણાકીય વસૂલાત કરે. સરકારે 51 બોન્ડેડ એમ.બી.બી.એસ.ની કચ્છમાં નિયુક્તિ કરી હતી જેની તાલુકાવાર વિગતો પર નજર કરીએ તો સૌથી વધુ રાપર તાલુકાને આઠ ફાળવ્યા હતા, ત્યારબાદ ભુજ અને માંડવીને સાત-સાત, અંજારને છ, ભચાઉ અને મુંદરાને પાંચ-પાંચ, નખત્રાણા તથા અબડાસાને ચાર-ચાર, લખપતને ત્રણ જ્યારે સૌથી ઓછા ગાંધીધામને બે ફાળવાયા હતા. સરકારી દવાખાનાઓમાં એમ.બી.બી.એસ. ડોક્ટરોની 29 જગ્યા ખાલી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું. સી.એચ.સી.માં ત્રણ મેડિકલ ઓફિસરનું મહેકમ હોવાથી એમ.બી.બી.એસ. ન હોય તો આયુષ અને હોમિયોપેથિક ડોક્ટરોથી દર્દીઓને સામાન્ય સ્થિતિમાં નિદાન-સારવાર મળી રહે ખરી પણ ક્લિનિકલ કે ઇમરજન્સી કેસ આવે ત્યારે એમ્બ્યુલન્સ અથવા 108 દ્વારા કેસને હાયર સેન્ટર મોકલવાની પરિસ્થિતિ ઊભી થાય.