હવે ફરીવાર સમગ્ર વિશ્વમાં કોરોનાનો હાહાકાર શરૂ થઈ ગયો છે. ભારત દેશમાં પણ સરકાર સતર્ક થઈ ગઈ છે અને વેક્સિન તથા દર્દીઓ માટેની સગવડો પર ભાર મુકી રહી છે. બીજી તરફ રાજ્ય સરકારોએ પણ કોરોનાને લઈને આગવી તૈયારીઓ કરી લીધી છે. ત્યારે આજે અમદાવાદમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નેશનલ કોન્ફરન્સ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં. આ કોન્ફરન્સમાં તેમણે કહ્યું હતું કે, હવે કોરોના ફરીથી શરૂ થઈ ગયો છે. આપણે માસ્ક પહેરવાનું શરૂ કરી દેવું જોઈએ. સાવચેતી રાખીશું તો સારૂ રહેશે. મેળાવડામાં જવાનું મોટેભાગે ટાળવું જોઈએ. મેળાવડાઓ હોય ત્યાં માસ્ક પહેરીને જ જવું જોઈએ. તેમણે એવું પણ કહ્યું હતું કે, હવેથી હું પણ માસ્ક પહેરવાનું શરૂ કરી દઈશ.