પાવીજેતપુર તાલુકાના ભીખાપુરા ગામે પાવીજેતપુર થી કંડા જતી બસ માં કંડક્ટરી કરતી પત્નીને પોલીસ પતિ દ્વારા પત્નીના આડા સંબંધોનો વહેમ રાખી ચપ્પુના ઘા મારી નિર્મમ રીતે હત્યા કરાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. જ્યારે કદવાલ પોલીસે આરોપી પતિ અમૃતભાઈ ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

            પ્રાપ્ત વિગતો અનુસાર છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના કંડા ગામનો રહેવાસી અમૃતભાઈ લાલજીભાઈ રાઠવાના લગ્ન ઘોઘમ્બા તાલુકાના સમળકુવા ગામની મંગુબેન શનાબેન રાઠવા સાથે થયા હતા. મંગુબેન બોડેલી એસટી ડેપોમાં કંડેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. જયારે તેઓના પતિ સુરત ખાતે પોલીસ કર્મચારી તરીકે ફરજ બજાવે છે. અમૃતભાઈ મૂળ કંડા ગામના રહીશ હોય, આજરોજ બપોરના સમયે પાવીજેતપુર થી કાંડા ગામે બસ જઈ રહી હતી જેમાં કંડકટર તરીકે મંગુબેન હોય, ભીખાપુરા ખાતે પેસેન્જર ઉતરતા મંગુબેનના પતિ અમૃતભાઈ રાઠવા બસમાં ચઢી જય પત્ની ના આડા સંબંધોનો વહેમ રાખી પત્ની મંગુબેન ને ચપ્પુ ના ઘા છાતીના ભાગે, ગળાના ભાગે તેમજ હાથના ભાગે મારી દેતા, મંગુબેનની હત્યા કરી છે. સ્વભાવિક રીતે જ બસની અંદર જ મંગુબેનની હત્યા કરતા આહાકાર મચી જતા ગામના લોકો સ્થળ ઉપર દોડી આવ્યા હતા. આરોપી અમૃતભાઈ નાસવા જતા ગામ લોકોએ પકડી રાખ્યો હતો જેની જાણ કદવાલ પોલીસને થતા કદવાલ પોલીસ સ્થળ ઉપર પહોંચી તાત્કાલિક અમૃતભાઈ ની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

        આમ, છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ભીખાપુર ચારરસ્તા પાસે એસ ટી બસની મહિલા બસ કંડક્ટર ને તેના પતિ પોલીસ કર્મચારીએ ચપ્પુના ઘા મારી મોતના ઘાટ ઉતારી દેતાં, પ્રાથમિક તાપસમાં મહિલાના આડા સબંધોનો વહેમ રાખી હત્યા કરવામાં આવી છે. જે કદવાલ પોલીસે આરોપી પતિને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.