ગુજરાત સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે આ સૌથી જઘન્ય અપરાધ હતો જેમાં મહિલાઓ અને બાળકો સહિત 59 લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા અને દોષિતોની અપીલ પર વહેલી તકે સુનાવણી કરવાની જરૂર છે

2002ના ગોધરા ટ્રેન સળગાવવાના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા દોષિતને સુપ્રીમ કોર્ટે ગુરુવારે જામીન આપ્યા છે. તે છેલ્લા 17 વર્ષથી જેલમાં છે તે જોતા કોર્ટે આ જામીન મંજૂર કર્યા હતા. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડ અને ન્યાયમૂર્તિ પીએસ નરસિમ્હાની બેન્ચે દોષિતોમાંથી એક ફારુક તરફથી હાજર રહેલા વકીલની દલીલ પર ધ્યાન આપ્યું કે તેને આજ સુધીના સમયગાળાને ધ્યાનમાં રાખીને જામીન આપવામાં આવે. જણાવી દઈએ કે આ મામલામાં ઘણા દોષિતોની સજા વિરુદ્ધ અપીલ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે.

ગુજરાત સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે આ સૌથી જઘન્ય અપરાધ હતો જેમાં મહિલાઓ અને બાળકો સહિત 59 લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા અને દોષિતોની અપીલ પર વહેલી તકે સુનાવણી કરવાની જરૂર છે. ફારૂક સહિત અન્ય કેટલાકને સાબરમતી એક્સપ્રેસના કોચ પર પથ્થરમારો કરવા બદલ દોષી ઠેરવવામા આવ્યા હતા 

27 ફેબ્રુઆરી, 2002ના રોજ, ગોધરા ખાતે સાબરમતી એક્સપ્રેસના S-6 કોચમાં આગ લગાવી હતી, જેમાં 59 લોકોના મોત થયા હતા, જેના કારણે આખા રાજ્યમાં રમખાણો ફાટી નીકળ્યા હતા.