જસદણના લીલાપુર ગામે એગ્રોના વેપારીનું અપહરણ કરી માર મારતા ૭ શખ્‍સો સામે પોલીસમાં ફરીયાદ થઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ જસદણના લીલાપુર ગામે કંચન એગ્રો નામની દુકાન ધરાવતા રાજેશભાઇ વલ્લભભાઇ ડોબરીયાએ તે જ ગામના જગદીશ લાલજીભાઇ ગામી, જીતુ મનુભાઇ બાવળીયા, ચંદુ ગામી, મનસુખ ગામી, રવી ગામી તથા બે અજાણ્‍યા શખ્‍સો સામે જસદણ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્‍યા મુજબ આરોપી મનસુખ ગામીની દિકરીને ફરીયાદી વેપારીના કૌટુંબીક ભાઇ મયુર ભગાડી ગયો હોય તે બાબતે ફરીયાદી વેપારી જાણતા હોવાની શંકા રાખી જગદીશ ગામી સહીતના  શખ્‍સોએ ફોર વ્‍હીલમાં ફરીયાદીની દુકાને આવી પાવડાથી માર મારી બાદમાં કારમાં બળજબરીથી બેસાડી અપહરણ કરી જઇ રસ્‍તામાં ઉકત પાંચ શખ્‍સો તથા બાઇકમાં આવેલા બે અજાણ્‍યા શખ્‍સોએ માર મારી પતાવી દેવાની ધમકી આપી છોડી મુકયો હતો. આ અંગે ઇજાગ્રસ્‍ત વેપારીની ફરીયાદ પરથી જસદણ પોલીસે અપહરણ સહીતની કલમો તળે ગુન્‍હો દાખલ કરી ઉકત આરોપીઓને ઝડપી લેવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.