ખંભાત વિધાનસભાને જીતવા ખરાખરીનો જંગ જામ્યો છે.૧૨ જેટલા ઉમેદવારો મેદાને ઉતર્યા છે.પરંતુ ચૂંટણી દરમિયાન ત્રિ-પાંખીયો જંગ વચ્ચે રંગ જામશે તેવું દેખાઈ રહ્યું છે.દરેક પાર્ટીના ઉમેદવારો દ્વારા જોરોશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યું છે.ઠેર ઠેર ગ્રામ્ય વિસ્તારોમાં જિલ્લા પંચાયત સીટો, તાલુકા પંચાયત બેઠકોના વિસ્તારોમાં જઇને મતદારોને મનાવી રહ્યા છે.૫ ડિસેમ્બરે મતદાન તારીખ જાહેર કરાઈ છે ત્યારે ભાજપા દ્વારા ખંભાત બેઠક પર જીત હાંસલ કરવા ૨૨ નવેમ્બરે કેન્દ્રીય મંત્રી અમિત શાહ જાહેરસભા સંબોધશે.ખંભાતમાં ચકડોળ ગ્રાઉન્ડ ખાતે પ્રથમ વાર પધારશે.નોંધનીય છે કે,ખંભાતમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રી રહી ચૂકેલા વિજયભાઈ રૂપાણી, યોગી આદિત્યનાથ સહિતના કેન્દ્રીય-રાજ્ય મંત્રીઓ પધારી ખંભાતમાં વિકાસના કામ કરવા અંગે વાયદા પણ કરી ચુક્યા છે.ત્યારે હવે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતશાહ પણ જાહેરસભા સંબોધશે ત્યારે એક બાજુ કોંગ્રેસ પાર્ટી ખંભાતમાં બંદર, મીઠું પાણી, બેરોજગારી, મોંઘવારી,રાંધણગેસમાં ભાવ વધારો સહિતના મુદ્દાઓ સાથે પ્રજા વચ્ચે જઈ પ્રચાર કરી રહી છે.ખંભાતના પ્રજાના મૂળભૂત જરૂરિયાત અને પાયાના પ્રશ્નોના પર અમિત શાહ પ્રકાશ પાડશે કે કેમ ? તેવું પ્રજામાં ચર્ચાઈ રહ્યું છે.