પંચમહાલ જિલ્લાનાં ઘોઘંબા તાલુકાનાં દામાવાવ ગામના રાઠવા ફળિયામાં કોઈકે ત્યજી દીધેલું નવજાત શિશુ જીવંત પીડિત હાલતમાં મળી આવતાં ચકચાર મચી જવા પામી હતી. કાળજાના ટુકડા જેવા નવજાત દિકરાના દેહને આમ પોતાનું પાપ છુપાવવા કે અન્ય કારણોસર ત્યજી દઈને મોં છુપાવતી માતા સામે લોકો ભારે ફીટકારની લાગણી પ્રદર્શિત કરી રહ્યા હતા.

ગામના આગેવાનો અને જાગૃત નાગરિક દ્વારા દામાવાવ પોલીસ ને જાણ કરવામાં આવી હતી બાળકના વાલી-વારસનો પત્તો નથી ઘોઘંબા તાલુકાના દામાવાવથી ગોધરા તરફ જતા માર્ગ ઉપરના રાઠવા ફળિયા પ્રાથમિક શાળા પાસે આવેલ દુકાનની પાછળ આવેલા ખેતરમાં એક તાજુ જન્મેલું બિનવારસી બાળક પડયું હોવાની વાત વાયુવેગે ફેલાતાં લોકો ઘટના સ્થળે દોડી પહોંચ્યા હતા. ગામના જાગૃત નાગરિક રાજેન્દ્રસિંહ પરમાર દ્વારા દામાવાવ પોલીસને જાણ કરવામાં આવી હતી તેમજ 108ને જાણ કરવામાં આવતા સીમલિયા દામાવાવ લોકેશનની 108 ઘટના સ્થળે દોડી આવી હતી જેમાં 108 ના કર્મચારી ઈએમટી કલ્પેશ બારીયા અને પાયલોટ જાલમ બારીયા દ્વારા નવજાત શિશુને પ્રાથમિક સારવાર આપી સિવિલ હોસ્પિટલ ગોધરામાં પહોંચાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

શિશુ ફાનિ દુનિયાને આંખ ઉઘાડીને નિહાળે તે પહેલાં જ દુર્ભાગ્યે તેની માતાએ કુમાતા બનીને નવજાત શિશુને સદાયને માટે તરછોડી ત્યજી દીધું હતું

જ્યારે એક માતાએ પોતાની કૂખે જન્મેલા દિકરાને આમ ઉપર આભ અને નીચે ધરતી વચ્ચે નિરાધાર ત્યજી દઈને પોતાના પેટનું કથિત પાપ છુપાવવાનો નિર્લજ પ્રયાસ કર્યો હતો. જેની તપાસ દામાવાવ પોલીસે જારી રાખી તજવીજ હાથ ધરી છે.