ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ વખત તમામ બેઠક પર ચૂંટણી લડવા જઈ રહેલી આમ આદમી પાર્ટી દ્વારા આજે ઉમેદવારોની આઠમી યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં માતર બેઠક પરથી મહિપતસિંહ ચૌહાણનું નામ જાહેર કરવામાં આવ્યું છે. જોકે મહિપતસિંહ આપમાં જોડાયા બાદ પાર્ટીનો છેડો ફાડી દીધો હતો. જોકે પક્ષમાંથી છેડો ફાડ્યા બાદ પણ તેમનું નામ આપમાંથી જાહેર થતાં અનેક અસમંજસ જોવા મળી છે. 

આપ દ્વારા 8મી યાદીમાં માતર બેઠક પરથી મહિપતસિંહનું નામ જાહેર કરવામાં આવતા તેમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ દરમિયાન તેમના નંબર પર વાત કરવાર અન્ય વક્તિએ મહિપતસિંહ લાઈવ આવીને આ અંગે સ્પષ્ટતા આપશે તેમ જણાવ્યું હતું. મહિપતસિંહએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, યાદી જાહેર થઈ ત્યારબાદ જ તેમને આ અંગેની જાણકારી મળી છે હુ લડી રહ્યો છું, આ લોકોએ ઉતાવળ કેમ કરી છે તે ખબર નથી, હું મારા કામમાં હતો લોકો મને ફોન કરીને જાણ કરી રહ્યા છે. પક્ષ સાથે ચર્ચા કર્યા બાદ 99.99 % હું આપમાંથી જ લડવાનો છું, છેલ્લા 15 દિવસથી વાતચીત ચાલી રહી હતી અને તેમણે નામ જાહેર કરવાનું કહી રહ્યા હતા, પરંતું મેં તેમને સુચના આપી હતી કે હું કન્ફર્મેશન આપુ ત્યારબાદ નામ જાહેર કરજો.