મહેસાણા : મહેસાણા તાલુકામાં આવેલા આંબલીયાસણ રેલવે સ્ટેશન ગાયકવાડ સરકારની સમયનું જંક્શન મથક ગણાય છે. ત્યારે રેલવે સ્ટેશનના નવીનીકરણ બાદ સ્થાનિક તેમજ આજુ-બાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોને રેલવે રિઝર્વેશન માટે મહેસાણા અને કલોલ લાંબા થવું પડતું હતું. ત્યારે વિવિધ ગામના આગેવાનો દ્વારા રેલવે રિઝર્વેશન સેન્ટર શરૂ કરવા માટે માંગણી કરાઈ હતી. તેના લીધે મહેસાણાના સાંસદ દ્વારા રેલવે મંત્રાલયમાં આ મામલે રજૂઆત કરવામાં આવી હતી. જેને લઇને તાજેતરમાં નવીન બનાવવામાં આવેલા આંબલીયાસણ સ્ટેશન ઉપર રેલવે રિઝર્વેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.

આંબલીયાસણ સ્ટેશન ઉપર 36માં રેલવે રિઝર્વેશન સેન્ટરની શરૂઆતના પ્રસંગે સાંસદ શારદાબેન પટેલ, ડી આર એમ.તરુણ જૈન, પવન કુમાર સિંહ, એપીએમસીના ચેરમેન રામદાસ પટેલ, તાલુકા પ્રમુખ સી એચ પટેલ અને જિલ્લા સદસ્યો ઉપસ્થિત રહ્યાં હતાં. તેમજ મહેસાણા સાંસદ દ્વારા પ્રથમ ટિકિટ લઈને જાહેર જનતા માટે રિઝર્વેશન સેન્ટર ખુલ્લું મુકવામાં આવ્યું હતું. આ પ્રસંગે કિસાન મોરચાના સંદીપ પટેલ, ભાવેશ પટેલ, સંકલાલ પટેલ, વેપારી આગેવાનો અને ગ્રામજનો પણ હાજર રહ્યાં હતાં.