અમદાવાદ 

આનંદનગરમાં સફલ પ્રિલ્યુડ બિલ્ડીંગમાં સ્માર્ટ શિફ્ટ લોજીસ્ટીક સોલ્યુશન કંપનીની ઓફિસમાં તોડફોડ કરી આગ લગાવવાની છ ટ્રાન્સપોર્ટરે ધમકી આપી હતી. સાત દિવસ અગાઉ બનેલી આ ઘટના અંગે આનંદનગર પોલીસે ગુનો દાખલ કર્યો છે. કંપનીએ બે ટ્રાન્સપોર્ટરને સસ્પેન્ડ કર્તા તે મામલે વિવાદ થયો હતો. 
કંપનીના વહીવટી અધિકારી શૌનક સંજીવભાઈ મહેતાએ રાજેન્દ્રભાઈ માધાભાઈ પટેલ, યુનુસખાન નિયાઝમોહમદ શેખ, મોંહમદ ઉમર લાખાણી, મો.અબ્દુલ નાસીક સીદ્દીકી અને અજીત નટવરલાલ દંતાણી વિરૂદ્ધ ફરિયાદ કરી છે. જે મુજબ ફરિયાદીની કંપની માલની હેરફેરનું કામ ઓનલાઈન એપ ડાઉનલોડ કરનાર ટ્રાન્સપોર્ટરોને આપે છે. કંપનીના સીઈઓ સાથે થયેલી વાતચીતનું રેકોર્ડીંગ વાઈરલ કરવાની કોશિષ કરનાર તેમજ કંપનીની જાહેરાતના પોસ્ટર ફાડી નાંખનાર બે ટ્રાન્સપોર્ટરને સસ્પેન્ડ કરવાનો નિર્ણય મેનેજમેન્ટે લીધો હતો. આ ટ્રાન્સપોર્ટરોનું સસ્પેન્શન રદ કરી તેઓને પરત લેવાની માંગણી સાથે ટ્રાન્સપોર્ટર ગત તા.૨૬મી જુલાઈના રોજ કંપનીને ઓફિસે આવ્યા હતા. સસ્પેન્ડ થયેલા બે ટ્રાન્સપોર્ટર સહિત છ જેટલા લોકોએ કંપનીનું ઓફિસમાં તોડફોડ કરી તેમજ આગ લગાવી દેવાની ધમકી આપી હતી. સસ્પેન્ડ કરેલા ટ્રાન્સપોર્ટરને પરત ના લો ત્યાં સુધી ઓફિસમાંથી નહી જઈએ તેમ કહેનાર શખ્સો પોલીસ આવતા નીકળી ગયા હતા. જો કે, કંપની મેનેજમેન્ટે આ અંગે ફરિયાદીનો નિર્ણય લેતા પોલીસે ગુનો દાખલ કર્યો હતો.