રાજકોટ: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. જેથી રાજકીય પાર્ટીઓએ તો કમર કસી છે સાથે સાથે વિવિધ સંગઠનો પણ એક્શનમાં આવી ગયા છે. આ ઉપરાંત વિવિધ સમાજના લોકો પણ મિટિંગો કરી રહ્યા છે. હવે આ કડીમાં લેઉવા પાટીદાર અને કડવા પાટીદાર વચ્ચે રાજકોટમાં બેઠક શરૂ થઈ છે. સરદાર પટેલ ભવન ખાતે આ બેઠક શરૂ થઈ છે.  હાલ તો બંને સમાજના આગેવાનો સામજિક બેઠક હોવાનું જણાવી રહ્યા છે.  બેઠક પૂર્ણ થયા બાદ બને સમાજ શું જણાવે છે તે જોવું મહત્વનું બની રહેશે. કારણ કે ચૂંટણીના માહોલ વચ્ચે લેઉવા અને કડવા પાટીદાર સમાજની બેઠકને લઈને રાજકારણ ગરમાયું છે.

રાજકોટ ખાતે શરૂ થયેલી આ બેઠકમાં લેઉવા પાટીદાર સમજના આગેવાન નરેશ પટેલ, રમેશ ટીલાળા હાજર છે જ્યારે કડવા પાટીદાર સમાજના સીદસર ઉમિયા ધામના ચેરમેન મૌલેશ ઉકાણી, સીદસર ઉમિયા ધામના પ્રમુખ જયરામ પટેલ, જગદીશ ભાઈ કોટડીયા સહિતના કડવા પાટીદાર સમાજના આગેવાનો હાજર છે. તમને જણાવી દઈએ કે, 10 દિવસ અગાઉ કડવા પાટીદાર સમાજના વ્યક્તિઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પણ બેઠક કરી ચૂક્યા છે.

ગુજરાત ચૂંટણીને લઈને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ચૂંટણીને લઈને ભાજપ પ્રેદશ અધ્યક્ષે મોટુ નિવેદન આપ્યું છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે જણાવ્યું કે, ચૂંટણીની તારીખ જાહેર કરવાની મારી પાસે સત્તા નથી. તેમણે કહ્યું કે, નવેમ્બરના અંત સુધીમાં ચૂંટણી પૂર્ણ થઈ જશે તેવુ મારુ માનવું છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર 20 થી 22 ઓક્ટોબર આસપાસ ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ શકે છે. ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજાય તેવી શક્યતા છે. ગુજરાત ચૂંટણીની તૈયારીને લઈને મુખ્ય ચૂંટણી કમિશ્નર આજે ગાંધીનગરમાં છે.

. પાટીદાર અગ્રણીઓએ કહ્યું કે, આ બેઠકમાં કોઈ રાજકીય ચર્ચા નહીં થાય. સામાજિક પ્રશ્નોની ચર્ચા કરીશું. દીકરા દીકરીઓના કેસને લઈને પણ ચર્ચા કરવામાં આવશે. આ અવસરે જેરામભાઈ પટેલે કહ્યું કે, સામાજિક ઉથાન માટે ચર્ચા થશે. આજની મીટીંગમાં કોઈ રાજકીય ચર્ચા નહિ થાય. ચૂંટણી લડવાની લઈને પાટીદાર નેતા રમેશ ટીલાળાએ કહ્યું પક્ષ કહેશે તો ચૂંટણી લડીશ. ખોડલધામ ટ્રસ્ટી રમેશભાઈ ટીલાળાએ કહ્યું પક્ષ આદેશ કરશે તો વિચારીશું.

અહેવાલ - નિખીલ ભોજાણી