તાલાળાના ચિત્રાવડમાં ઓર્ગેનિક ખેતી કરી નફાકારક ઉત્પાદન મેળવતા મહિલા ખેડૂત ફરજાનાબેન સોરઠીયા

----------

ગીર સોમનાથ.તા. ૨૧: કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિ નો આધાર તે રાષ્ટ્રની મહિલાઓની સ્થિતિ ઉપર હોય છે. આજે મહિલા શિક્ષણ મેળવવા જિજ્ઞાસુ છે પુરુષો સાથે ખભેખભા મીલાવી આગળ વધી રહી છે. આજે કોઈ એવું ક્ષેત્ર નથી જેમાં મહિલાઓ નું યોગદાન ન હોય એવા જ એક ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ચિત્રાવડ ગામના મહિલા ખેડૂત ફરજાનાબેન સોરઠીયા પોતે પરંપરાગત ખેતી છોડી અને પોતાની જીજ્ઞાસા વૃતિ અને કંઈક અલગ કરવાની ભાવનાથી પોતે ચાર વીઘામાં કમલમનું વાવેતર કરીને ખુબ જ મહેનતથી તેને ઓર્ગેનિક ખેતી કરી નફાકારક ઉત્પાદન મેળવી રહ્યા છે.

            ફરજાના બેન સોરઠીયા જણાવે છે કે, શરુઆતમાં કમલમના રોપા ભાવનગર જિલ્લામાંથી લઈ આવી ૨૫૦૦ રોપાનું ખેતરમાં વાવેતર કર્યું હતુ. જેના લાભાર્થે તેઓ ઘર બેઠા ૨૦૦ થી ૨૫૦ રૂપિયા કિલોગ્રામના ભાવ મેળવે છે, તેમજ આવનારા વર્ષમાં જ્યારે કમલમ પ્લાન્ટ ત્રણ વર્ષથી ઉપરના થાય ત્યારે તેમાંથી કલમ બનાવી અને નર્સરી તૈયાર પણ કરવાના છે. જેથી અન્ય આવક પણ મેળવી શકાય.

            બાગાયત અધિકારી પ્રીતિબેન ગોહિલ દ્વારા જણાવવામાં આવેલું કે, કમલમ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી છે તેનું વાવેતર વિસ્તાર વધારવા તેમજ વાવેતર થતા ખર્ચ સામે ખેડૂતોને બાગાયત ખાતા તરફથી કમલમમાં એક હેક્ટર ૧૧૧૧ પોલ અને ૪૪૪૪ નંગ રોપા પ્રમાણે પ્રથમ વર્ષે થયેલ કુલ ખર્ચને ધ્યાને લઇ ૨,૪૪,૪૦૨ અને બીજા વર્ષે હેડ રિગ/ ટ્રેલીઝીંગ તથા વાયરમાં થયેલ કુલ ખર્ચના ધ્યાને લઇ ૫૫૫૮૦ રૂપિયા સહાય મળવાપાત્ર છે. ગુજરાતમાં ફરજાનાબેન ખેતીમાં રસ ધરાવતા અને નવા નવા પ્રયોગોં કરી અન્ય ખેડૂતોને પ્રેરણા પૂરી પાડી રહ્યા છે. અને ગુજરાતની કૃષિ ક્ષેત્રચિત્ર બદલી રહ્યા છે.