વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29મી સપ્ટેમ્બરના દિવસે સુરતની મુલાકાતે આવી રહ્યા છે. નીલગીરી ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે. સુરત કોર્પોરેશનના અંદાજે 3,000 કરોડ કરતા વધારેના કામોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતમાં 29 સપ્ટેમ્બરે કાર્યક્રમમાં હાજરી આપશે. જેમાં તેઓ રૂ.૩૦૦૦ કરોડના વિવિધ પ્રકલ્પના લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે.

પ્રજાલક્ષી સુવિધાઓમાં વધારો થાય તે હેતુથી વિવિધ પ્રોજેક્ટોને લોકો માટે ખુલ્લા મુકાશે તો નવા પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત પણ કરશે.

લિંબાયતના નીલગીરી ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હેલીપેડ માટેનું આયોજન ક્યાં કરવું તેના માટેની સ્થળ મુલાકાત નેતાઓ અને અધિકારીઓ દ્વારા કરવામાં આવી છે. મમતા ટોકીઝ પાસે અથવા મહર્ષિ આસ્તિક મંદિર પાસે હેલીપેડ તૈયાર કરવામાં આવી શકે છે.

આગામી વિધાનસભાની ચૂંટણીઓ નજીક છે ત્યારે ૨૯ સપ્ટેમ્બર ની નરેન્દ્ર મોદીની સુરત મુલાકાત ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે.

આમ આદમી પાર્ટી જે પ્રકારે સુરતમાં પગ પેસારો કરી રહી છે તે જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હવે સુરત ઉપર ખાસ નજર રાખીને બેઠા છે. મળતી માહિતી મુજબ મહર્ષિ આસ્તિક મંદિરથી નીલગીરી ગ્રાઉન્ડ સુધી રોડ શો પણ યોજવામાં આવી શકે છે. વહીવટી તંત્રની સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો પણ સક્રિય થઈ ગયા છે.