પાટણમાં આવેલા અનોખા મંદિરમાં જ્યાં હનુમાનજીની પૂજા અર્ચના ફક્ત રોટલી દ્વારા કરવામાં આવે છે. રોટલીયા હનુમાનનું મંદિર પાટણ જિલ્લા અને આજુબાજુના જિલ્લામાં પ્રખ્યાત છે. આ રોટલીયા હનુમાનના દર્શન કરવા ભાવિભક્તો અવારનવાર પધારતા હોય છે. પાટણ જિલ્લાની મુલાકાતે આવેલા આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલે ભક્તિ ભાવપૂર્વક રોટલીયા હનુમાનજીના દર્શન અને પૂજા અર્ચના કર્યા હતા. તેઓએ ગુજરાતની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.

 

       આ પાવન પ્રસંગે આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલને તેમના વજનના ભારોભાર રોટલીથી તેમની તુલા પણ કરવામાં આવી હતી. તેઓએ દાદાના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો. રોટલીયા હનુમાન મંદિર દ્વારા મૂંગા પશુઓને પ્રસાદ સ્વરૂપે રોટલી પણ આપવામાં આવે છે. અબોલ દાતાઓ દ્વારા આપવામાં આવેલા અત્યાધુનિક રોટલીના મશીન, ઠંડા પાણીનું વોટર કુલર તેમજ વડીલો માટે ટેલિવિઝન નું લોકાર્પણ મંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. 

આજે ભારતના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના 72મા જન્મદિન નિમિત્તે માનનીય આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલ 72 ગંગાસ્વરૂપ બહેનોનું સન્માન કરી તેઓના આશીર્વાદ લીધા હતા. પાટણના રોટીલા હનુમાન નું મંદિર સ્થાનિક લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. આ મંદિર અબોલ જીવો માટે દરરોજ રોટલી બનાવી તેમની ક્ષુધા સંતોષવા માટે સેવા કરે છે. મંદિરના આ સેવાકાર્યમાં ઓટોમેટીક રોટલી બનાવવાનું મશીન આવતા હવે અબોલ જીવોને સારી રોટલી મળી રહેશે. આ પ્રસંગે પૂર્વ મહામંત્રી કે સી પટેલ સહિત મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.