ગ્રાહક જ બજારનો રાજા છે, ગ્રાહકે પોતાની બિલ લેવાની જવાબદારી નિભાવવી જોઈએ-મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર 

    

    સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાની નાલંદા હાઈસ્કૂલ ખાતે ગ્રાહક જાગૃતિ સંમેલન તથા શાળાઓને ચેક વિતરણ કાર્યક્રમ અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા બાબત રાજ્યકક્ષા મંત્રી ગજેન્દ્રસિંહ પરમારની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ પ્રસંગે ખાદ્ય પદાર્થ ની ગુણવત્તા ચેક કરવા મેજિક બોક્સ એટલે કે ખાદ્ય પદાર્થની ગુણવત્તા ચેક કરવા માટે ટેસ્ટિંગ લેબોરેટરી બોક્સ અર્પણ કરવામાં આવ્યું હતું.  

     આ પ્રસંગે મંત્રી ગજેન્દ્રસિંહ પરમારે જણાવ્યું હતું કે, આ મેજિક બોક્સમાં જુદા જુદા ૧૦૨ પ્રકારના ખાધ્યાર્થ પદાર્થોને ટેસ્ટ થશે. જેના થકી ખાવા પીવાની વસ્તુઓની ભેળસેળ ચેક કરવી અને તુરંત તેનું પરિણામ મળી જશે. જેથી લોકોને શુદ્ધ અને પૌષ્ટિક આહાર મળી શકે વધુમાં તેમણે જણાવ્યું કે ખોરાક અને ઔષધ નિયમન એફ. એસ. એસ. આઈ. દ્વારા મેજિક ફૂડ સેફટી વેન પણ ઉપલબ્ધ છે. જેથી જિલ્લાની જનતાને સારો અને પૌષ્ટિક આહાર મળે સાથે કોઈપણ વેપારી કે દુકાનદાર ખોટું કરતા કાયદાનો ડર રહે. આ સાથે તેમની ગ્રાહક સુરક્ષાનો ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૩૩ ૫૫૦૦ જણાવી તેની પર ફરીયાદ કરવા ભાર મૂક્યો હતો. ગ્રાહકોની ફરીયાદ સામે સરકાર પગલા લેવા કટીબધ્ધ છે.         

   ગ્રાહક જેટલો જાગૃત તેટલો તેને વધુ લાભ થશે. ગ્રાહક જ બજારનો રાજા છે તેને પોતાની સુરક્ષા માટે જાગૃત બની છેતરાય નહીં તે માટે જાગૃતિ કાર્યક્ર્મો અને ગ્રાહક ફોરમ વિભાગ કામગીરી કરી રહ્યો છે. ગ્રાહકે પણ પોતાની બિલ લેવાની જવાબદારી નિભાવવી જોઈએ. 

     વધુમાં તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન અને રાજ્ય સરકારના મુખ્યમંત્રી દ્વારા આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની યાત્રાને સફળ કરવા માટે દરેકે પોતાનો યોગદાન આપવું જોઈએ.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં માળખાકીય સુવિધાઓ, વિકાસની તમામ કામગીરી છેવાડાના માનવી સુધી પહોંચી છે. આપણા મુખ્યમંત્રીશ્રી મૃદુ પણ મક્કમ છે તેમની કામગીરી આપણે જોઈ શકીએ છીએ. બાળકો ભાવિ નાગરિકો છે તેમનું સ્વાસ્થ્ય જળવાય તો તંદુરસ્ત ભારતનું નિર્માણ થઈ શકે. આ સાથે તેમને પ્રાકૃતિક ખેતી તરફ વળવા અને પર્યાવરણની જાળવણી માટે પણ અપીલ કરી હતી. 

      આ પ્રસંગે ડૉ.ગૌરાંગશરણ દેવાચાર્ય અને પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાએ પ્રાસંગીક પ્રવચન કર્યં હતું. જ્યારે ગ્રાહક સુરક્ષા અને ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના અમદાવાદના સી.ઇ.આર.સી.ના ડો. આનંદીતા મહેતા અને દિપિકા ચૌધરીએ વિભાગની કામગીરી અને પૌષ્ટીક આહારની ગુણવત્તા ચકાસણી અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. 

      આ પ્રસંગે સ્વામીશ્રી જીવનદાસ, સંતશ્રી સુનિલદાસ, સંતશ્રી હનુમાનદાસ, તાલુકા પંચાયત પ્રમુખ વર્ષાબા, પ્રાંત ડોડીયા, મામલતદાર પ્રાંતિજ, આ કાર્યક્ર્મના આયોજક નટુભાઇ બારોટ, શાળાના ટ્રસ્ટીગણ, આચાર્ય, સ્ટાફગણ અને શાળા કોલેજના વિધાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા.