કપડવંજમાં ત્રિદિવસીય જ્ઞાન યજ્ઞ તથા ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો, 150થી વધુ દર્દીઓને તપાસવામાં આવ્યા કપડવંજ દશા પોરવાડ જ્ઞાતિના વતની અને મુંબઈ સ્થિત રજનીકાંતભાઈ પરીખના સૌજન્યથી કપડવંજ ટાઉનહોલમાં પરમ પ્રમાણ દર્શન તથા નિર પ્રજ્ઞા ટ્રસ્ટ મુંબઈ દ્વારા આયોજિત ત્રિદિવસીય જ્ઞાનયજ્ઞ તેમજ ફ્રી મેડિકલ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પધારેલા પ્રવક્તા પરમ પૂજ્ય સ્વામી નિજાનંદ સરસ્વતીજીએ શ્રીમદ ભગવદ ગીતા પ્રવેશમાં દર્શાવેલ કર્મોને સાધના બનાવવાની કળા ઉપર મનનીય પ્રવચન આપ્યું હતું. આ સાથે તેમણે જણાવ્યું હતું કે, જેના વ્યવહારમાં સાધના નથી તેનું કોઈ પણ સાધના વડે કલ્યાણ થઇ શકતું નથી. મનુષ્ય ધર્મમાં વિવિધ ઈર્ષા યુક્ત હરીફાઈ હોવી અનિવાર્ય છે. પરંતુ તે શાસ્ત્રોકત માન્ય હોય તે ખૂબ જરૂરી છે. આપણે સૌએ પશુ જીવન જીવવાનું નથી, પરંતુ માનવ જીવન જીવવાનું છે અને તે માટે શ્રીમદ ભગવદ્ ગીતા જ આધુનિક સમયમાં આશાનું કિરણ છે. કારણ કે, આપણને સૌને જીવન નિર્વાહના કર્તવ્યોને જ સાધનામાં પરિવર્તિત કરવાની કળા શીખવે છે. આ પ્રસંગે ફ્રી મેડિકલ કેમ્પનું ઉદઘાટન સ્વામી નિજાનંદ સરસ્વતીજીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર હિતેશ પરીખ, ચાઈલ્ડ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર પ્રીતિ પરીખ અને કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર શૈલેષ પરીખ દ્વારા 150 ઉપર દર્દીઓને તપાસવામાં આવ્યા હતા. જેમાં શ્રી મોટા હનુમાન સેવા મંડળના સંજયભાઈ ખમણવાળા તથા નુહૂષ પટેલ અને અન્ય કાર્યકરોએ તેમજ સહયોગ હોસ્પિટલના સ્ટાફ દ્વારા કેમ્પને સફળ બનાવવામાં સહયોગ આપવામાં આવ્યો હતો. કપડવંજ નગર સેવા સદનના પ્રમુખ મોનિકાબેન પટેલ તથા પોરવાડ મિત્ર મંડળના હોદ્દેદારો કીર્તન પરીખ, રમેશ દેસાઈ, ધર્મેશ પરીખ, હરીશ દેસાઈ, કલ્પેશ દેસાઈ, બ્રિજેશ દેસાઈ અને મહિલા મંડળના સર્વે હોદ્દેદારો જયશ્રી દેસાઈ, ગીતાબેન પરીખ, ભક્તિબેન પરીખ, જ્યોતિબેન દેસાઈ, ચારૂબેન દેસાઈ, શીલાબેન પરીખ, શીતલ વગેરે દ્વારા પૂજ્ય સ્વામીજી નિજાનંદ સરસ્વતીજી અને રજનીકાંતભાઈ પરીખનું સાલ ઓઢાડીને અભિવાદન કરવામાં આવ્યું હતું.