વડોદરા રેલવે ઉપર ફિલ્મ અભીનેતા શાહરુખ ખાન રૂ.23 લાખના ખર્ચે આરઓ પ્લાન્ટની સુવિધા ઉપલબ્ધ કરાવશે.
અગાઉ રઇશ ફિલ્મના પ્રમોશન માટે વડોદરા રેલવે સ્ટેશન પર જ્યારે શાહરૂખ ખાન થોડીવાર રોકાયો તે સમયે ભાગદોડ થતાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું.
આ ઘટના માટે શાહરૂખ ખાનને જવાબદાર ગણી વડોદરા કોર્ટમાં ફરિયાદ દાખલ થઈ હતી, જે ફરિયાદને એપ્રિલ મહિનામાં હાઇકોર્ટે રદ કરી હતી. જે તે સમયે હાઇકોર્ટે શાહરૂખ ખાનને ટકોર કરી હતી કે, તમારે ગુડ ફેઇથમાં કંઇક કરવું જોઇએ.

હાઇકોર્ટની આ ટકોર બાદ શાહરૂખ ખાને વડોદરા રેલવે સ્ટેશન પર આરઓ પ્લાન્ટ માટે રૂા.23 લાખનો ચેક મોકલ્યો હતો, જે ચેક સોમવારે ડીઆરએમને અપાશે. 23 જાન્યુઆરી,2017ના રોજ અગસ્ત ક્રાંતિ ટ્રેન દ્વારા શાહરૂખ મુંબઇથી દિલ્હી જઇ રહ્યો હતો. રઇસ ફિલ્મના પ્રમોશન માટે તે થોડી મિનિટ માટે વડોદરા રોકાવાનો હોવાને કારણે રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં ભીડ થઇ હતી.
ટ્રેન ઊભી રહેતાં શાહરૂખે ટીશર્ટ અને બોલ ભીડ તરફ ફેંકતાં અફરા-તફરી અને ભાગદોડ સર્જાઇ હતી. પોલીસે ટોળાના વિખેરવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. આ બનાવમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. આ ઘટના માટે શાહરૂખ ખાન જવાબદાર હોવાના આક્ષેપ સાથે વડોદરાની કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામા આવી હતી. જેમાં શાહરૂખ ખાન સામે સમન્સ પણ નીકળ્યું હતું.
દરમિયાન ફરિયાદ રદ કરવા હાઇકોર્ટમાં દાદ માગવામાં આવતાં હાઇકોર્ટે એપ્રિલ-2022માં શાહરૂખ ખાન સામેની ફરિયાદ રદ કરી હતી. શાહરૂખ ખાનના એડવોકેટ કૌશિક ભટ્ટે જણાવ્યું હતું કે, જે તે સમયે હાઇકોર્ટે ટકોર કરી હતી કે, તમે સેલિબ્રિટી છો ત્યારે તમારે ગુડ ફેઇથમાં કંઇક કરવું જોઇએ એટલે શાહરૂખ ખાને રેલવેને પૂછ્યું હતું કે વડોદરા રેલવે ઉપર મુસાફરો માટે આરઓ પ્લાન્ટ ની જરૂર છે અને તે માટે રૂા.23 લાખનો ખર્ચ થઈ શકે તે વાત જાણ્યા બાદ શાહરુખ ખાને રૂ.23 લાખનો ચેક મોકલ્યો હતો, જે સોમવારે ડીઆરએમને અપાશે.