ખેડૂતોમાં ભયનો માહોલ:કોડીનારના ડોળાસામાં સિંહ પરિવારે બળદનું મારણ કર્યું, ગ્રામજનોએ વનવિભાગને જાણ કરી

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ડોળાસા ગામની જાબિયા સીમ વિસ્તારમાં ગત મોડીરાત્રીના એક સિંહણ તેના બે બચ્ચાઓ સાથે ચડી આવીને બળદનું મારણ કર્યાની ઘટના સામે આવી છે. જેના પગલે ગ્રામજનો અને ખેડુતોમાં ભયનો માહોલ ફેલાયો છે. આ અંગે વનવિભાગને જાણ કરવામાં આવી છે.

ગીર સોમનાથ જિલ્લામાં જંગલ બોર્ડર અને માનવ વસાહત વાળા વિસ્તાર નજીકના ગામોમાં વારંવાર સિંહો આવી ચડતા જોવા મળે છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેની પ્રાપ્ત વિગત મુજબ કોડીનાર તાલુકાના ડોળાસા ગામના હરેશભાઈ ધીરુભાઈ ડોડીયા ગામના સીમાડે "જાબીયાનાં પા "તરીકે જાણીતા સીમ વિસ્તારમાં ખેતર ધરાવે છે, જેમાં તેમનું ઢોરવાડું પણ આવેલું છે. આ વિસ્તારમાં જંગલી જાનવરોની બીકથી ખેડુતો રોજ રાત્રે તેમના તમામ ઢોરને બંધ મકાનમાં બાંધી દેતા હતા.

આજે હરેશભાઈ વહેલીસવારે વાડીએ આવ્યા અને ઢોરવાડાની સફાઈ માટે તમામ ઢોરને બહાર કાઢી ડેલામાં બાંધ્યા હતા. ત્યારે વહેલી સવારના છ વાગ્યા આસપાસ એક સિંહણ અને તેના બે બચ્ચા આવ્યાં હતાં અને એક બળદ ઉપર હુમલો કર્યો હતો. અવાજ આવતા ઢોરવાડામાં સફાઈ કરતાં હરેશભાઈ બહાર આવતા આ સાવજો નાસી ગયા હતા. પરંતુ સિંહણના હુમલામાં ગંભીર રીતે ઘાયલ બળદનું થોડી જ વારમાં મોત થયું હતું. આ ઘટના અંગે ગ્રામજનો દ્વારા જામવાળા વનવિભાગને જાણ કરવામાં આવી છે.