ભુજ તાલુકાના માધાપર ગામે ગત મહિનાના અંતિમ અઠવાડિયામાં બનેલા રબારી સમાજના 20 વર્ષની વયના યુવાન પરેશ રાણા રબારીની હત્યાના બનાવ સંદર્ભે અખિલ કચ્છ રબારી ભરવાડ સમાજના હોદેદારો અને અગ્રણીઓએ રાજયના ગૃહમંત્રીને રૂબરૂ મળી વિસ્તૃત રજુઆત કરી હતી. આ પ્રકરણમાં પકડાયેલો આરોપી તો માત્ર પ્યાદા સમાન હોવાનું જણાવી તેને આ હત્યા માટે ઉશ્કેરણી કરનારા અને મદદ કરનારા સામે પણ યોગ્ય કાયદાકીય પગલાં લેવા સહિતની માગણી આ રજુઆતમાં કરાઇ હતી. અખિલ કચ્છ રબારી ભરવાડ સમાજના હોદેદારો અને આગેવાનો માધાપર ખૂનકેસ અન્વયે ગાંધીનગર ખાતે રાજયના ગૃહમંત્રીને રૂબરૂ મળ્યા હતા. સમાજ દ્વારા રાજયના મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને જિલ્લા કલેકટરને સંબોધીને લખાયેલું વિસ્તૃત આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં ખૂનની ઘટના અને તે પછીની ઘટનાઓ ઉપરાંત અન્ય બાબતોને વણી લેવાઇ હતી.સમાજે આવેદનપત્રમાં કરેલી રજુઆત મુજબ હત્યાના કિસ્સા બાદ ધાર્મિક સ્થાનમાં તોડફોડ બાબતનો મુદો ખોટી રીતે ઉભો કરાયો છે અને તેમાં નિર્દોષ લોકોને ફસાવાઇ રહયા છે. આ અનુસંધાને સી.સી.ટી.વી. ફ્|ટેજના અભ્યાસ સાથે પોલીસ દ્વારા તટસ્થ તપાસ કરાય તો સત્ય વિગતો બહાર આવે તેમ છે. હત્યાની ઘટના પછવાડે જવાબદાર બતાવાયેલા બે જણનો નામજોગ ઉલ્લેખ કરીને સમાજે તેમની ભૂમિકાની તટસ્થ તપાસ ઉપર ભાર મુકયો હતો. તો બનાવ બાદ આરોપીને ચોકકસ નંબરની ગાડીમાં કોણે ભગાડવામાં મદદ કરી તેના સહિતના મુદાઓ ઉપર પણ પ્રકાશ પાડયો હતો. આવા જવાબદારોને પણ પકડીને તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવા ભારપૂર્વકની રજુઆત કરાઇ હતી. તો આરોપીઓ છટકી ન જાય તે માટે સાક્ષીઓના સી.આર.પી.સી. 164 મુજબ નિવેદન લેવાનું સુચન પણ કરાયું હતું. સાથેસાથે તોડફોડ બાબતે લખાવાયેલી ફરિયાદમાં નિર્દોષ લોકોના નામ કમી કરવા માગણી કરાઇ હતી.