પાકિસ્તાનમાં 33 મિલિયનથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. દરમિયાન, વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું છે કે સૌથી મોટી ચિંતા લગભગ 1.2 મિલિયન ગર્ભવતી મહિલાઓની છે, જેઓ આ દિવસોમાં અસ્થાયી શિબિરોમાં રહે છે. 

પાકિસ્તાન આ દિવસોમાં સૌથી મોટા સંકટનો સામનો કરી રહ્યું છે. પહેલાથી જ આ દેશને આર્થિક સંકટ ઘેરી વળ્યું હતું, ઉપરથી પૂરે મુસીબતો વધારી દીધી છે. દેશનો એક તૃતિયાંશ ભાગ ડૂબી ગયો છે. દરેક જગ્યાએ પાણી છે અને લોકો પોતાનો જીવ બચાવવા માટે લડી રહ્યા છે.

હવે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના એક રિપોર્ટે આ દેશને વધુ ડરાવ્યો છે. રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનમાં પૂર દરમિયાન જન્મેલા બાળકોના જીવ જોખમમાં હોવાનું કહેવાય છે. હકીકતમાં, પૂરગ્રસ્ત વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકોને રાહત શિબિરોમાં રાખવામાં આવ્યા છે, પરંતુ પર્યાપ્ત તબીબી સુવિધાઓના અભાવને કારણે તેમના જીવ જોખમમાં છે. WHOના રિપોર્ટ અનુસાર પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં સ્વાસ્થ્ય વ્યવસ્થા સંપૂર્ણપણે પડી ભાંગી છે.

પાકિસ્તાનમાં 33 મિલિયનથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. દરમિયાન, વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું છે કે સૌથી મોટી ચિંતા લગભગ 1.2 મિલિયન ગર્ભવતી મહિલાઓની છે, જેઓ આ દિવસોમાં અસ્થાયી શિબિરોમાં રહે છે. પાકિસ્તાનમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના પ્રતિનિધિ ડૉ. પાલિતા ગુણરત્ન મહિપાલે જણાવ્યું કે પૂરના કારણે લગભગ 10 ટકા સ્વાસ્થ્ય સંસ્થાઓ નાશ પામી છે.

મળતી માહિતી મુજબ, આગામી મહિના સુધીમાં પાકિસ્તાનમાં લગભગ 70 હજાર મહિલાઓને તબીબી સહાય વિના બાળકોને જન્મ આપવો પડશે. આ મહિલાઓ આ દિવસોમાં શિબિરોમાં છે અને સ્વાસ્થ્ય સહાય માટે તેમના સુધી પહોંચવું ખૂબ મુશ્કેલ છે. ઉપરથી આ કેમ્પમાં સાપ, મચ્છરથી માંડીને અનેક જોખમો છે.

પાકિસ્તાનમાં જળપ્રલય જેવી સ્થિતિ વચ્ચે જીડીપી વૃદ્ધિ દરને પણ મોટો ઝટકો લાગી શકે છે. જો અહેવાલોનું માનીએ તો જીડીપી વૃદ્ધિ દર પાંચ ટકાથી ઘટીને ત્રણ ટકા થઈ શકે છે. 

અહેવાલો અનુસાર, પૂરના કારણે પાકિસ્તાનને 30 અબજ ડોલરનું નુકસાન થવાની આશંકા છે. ખરેખર, 33 મિલિયનથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. દરમિયાન, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) એ જણાવ્યું કે પૂરના કારણે મૃત્યુઆંક 1,396 પર પહોંચી ગયો છે. જ્યારે ઘાયલોની કુલ સંખ્યા 12,700થી વધુ છે.