પ્રવકતા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે કે, રાજ્યના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ડિજિટલ ગુજરાત અંતર્ગત ડિજિટલ સુવિધાઓ પૂરી પાડવા રાજ્ય સરકારે અનેકવિધ નવતર આયામો હાથ ધર્યા છે જેના ભાગરૂપે ધોરણ ૯ અને ૧૦માં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને બારકોડેડ જાતિ પ્રમાણપત્રો આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. પ્રવકતા મંત્રીશ્રીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આજે મળેલ રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા આ મહત્વનું નિર્ણયની વિગતો આપતા કહ્યું કે, ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જાતિના નાગરિકો તેમજ વિદ્યાર્થીઓને યોજનાકીય લાભો, ઉચ્ચ અભ્યાસક્રમમાં અનામત તેમજ સરકારી નોકરીમાં અનામતના હેતુ માટે જાતિના પ્રમાણપત્ર રજૂ કરવાનું રહે છે. એમાં વધુ સરળતા રહે એ માટે આ નિર્ણય કરાયો છે. તેમણે ઉમેર્યું કે, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળના નિયામક, અનિસૂચિત જાતિ કલ્યાણ અને નિયામક, વિકસતિ જાતિ કલ્યાણ ખાતા દ્વારા જાતિ પ્રમાણપત્રો આપવામાં આવે છે. જે અતર્ગત ધોરણ-૧૦માં શાળામાંથી દરખાસ્ત મંગાવી વિદ્યાર્થીઓને જાતિના પ્રમાણપત્રો આપવામાં આવે છે. ચાલુ શૈક્ષણિક સત્ર ૨૦૨૨-૨૩ થી ધોરણ ૯ અને ૧૦માં અભ્યાસ કરતા અને નવા શૈક્ષણિક સત્ર ૨૦૨૩-૨૪થી ધોરણ ૯માં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓની જાતિ પ્રમાણપત્રો માટે શાળાઓ મારફત દરખાસ્ત મંગાવી વિદ્યાર્થીઓને ડિજિટલ ગુજરાત પોર્ટલ દ્વારા જાતિના બારકોડેડ પ્રમાણપત્ર આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેથી વિદ્યાર્થીઓને શાળામાંજ સરળતાથી જાતિના પ્રમાણપત્ર મળી રહેશે તેમ પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું હતું.