78 ગામડાના તાલુકા સિહોરમાં 24 કલાક ખુલ્લો રહેતો એકેય મેડિકલ સ્ટોર નથી ! ઉદોગોનું કેન્દ્ર હોય આરોગ્યલક્ષી સુવિધા આવશ્યક રાત્રિના સમયે અકસ્માતની ઘટના ઘટે તો દવાનો પ્રશ્ન ઊભો થાય છે સિહોર ઔધોગિક ક્ષેત્રે અગ્રીમ સ્થાન ધરાવતું શહેર છે. આ શહેર સતત વિકસી અને વિસ્તરી રહ્યું છે. અહીંથી ભાવનગર -રાજકોટ રાજય ઘોરી માર્ગ પણ પસાર થાય છે. જેને કારણે આ શહેરમાંથી થતાં હાઇ-વે પર વાહનોની સતત ભરમાર રહ્યા કરે છે. જેને કારણે અહીં અવારનવાર અકસ્માતની ઘટનાઓ પણ બનતી રહે છે. આથી સિહોરમાં 24 કલાક ખુલ્લો રહેતો મેડિકલ સ્ટોર શરૂ કરવા લોકમાંગ ઊઠવા પામી છે. સિહોર તાલુકામાં 78 ગામડાઓ આવેલા છે. અને તાલુકાના એક પણ ગામડામાં અકસ્માતની ઘટના બને તો જે-તે દર્દીને સિહોર જ સારવાર અર્થે ખસેડવામાં આવે છે. સિહોરમાં ભાવનગર રોડ, રાજકોટ રોડ અને અમદાવાદ રોડ એમ ત્રણેય રોડ પર જી.આઈ.ડી.સી.ઓ આવેલી છે. આ જી.આઇઈઇ.ડી.સી.માં અવારનવાર અકસ્માતની ઘટનાઓ ઘટતી રહે છે. જેમાં આજ દિન સુધીમાં કેટલાય લોકોએ પોતાના જાન ગમાવ્યા છે.