દાહોદમાં અગ્નિવીર ભરતી અંગેનો વિનામુલ્યે માર્ગદર્શન સેમિનાર ગત તા. ૨ સપ્ટેમ્બરે યોજાયો હતો. જિલ્લા રોજગાર કચેરી દ્વારા આયોજીત આ સેમીનારમાં મોટી સંખ્યામાં યુવાનોએ ભાગ લીધો હતો. રોજગાર અધિકારી એ.એલ.ચૌહાણે ઉપસ્થિત ઉમેદવારોને આ અંગેનું જરૂરી માર્ગદર્શન આપ્યું હતું અને તેમના પ્રશ્નોના ઉત્તર આપ્યા હતા. 

અગ્નિવીર ભરતી અંતર્ગત ગુજરાતમાં આગામી તા ૧૫.૧૦.૨૦૨૨ થી ૦૮.૧૧.૨૦૨૨ દરમિયાન અમદાવાદ ખાતે યોજાનાર લશ્કરી(અગ્નીવીર) ભરતી રેલીમાં ભાગ લેવા અંગેની ભરતી પ્રક્રીયા, તેમજ ભરતી માટે સાથે રાખવાના જરુરી ડોકયુમેન્ટ તેમજ સારો દેખાવ કરવા માટે યોજાનાર ફ્રી ૩૦ દિવસની નિવાસી તાલીમ વર્ગમા જોડાવા અંગે રોજગાર અધિકારી એ. એલ. ચૌહાણે ઉમેદવારોને માર્ગદર્શન આપ્યુ હતું.

અગ્નીવીર ભરતી રેલીમા ભાગ લેવા માટે www.joinindianarmy.nic.in પર તારીખ.૦૩/૦૯/૨૦૨૨ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. અગ્નીવીર ભરતી રેલી માટે ઓનલાઈન ફોર્મ ભરેલ ઉમેદવારો ભરતીમા સારો દેખાવ કરી શકે તે માટે રોજગાર કચેરીમા ફોર્મ ભરેલ ઉમેદવારોની સ્ક્રુટીની કરીને દાહોદ જીલ્લાના ૬૦ ઉમેદવારોને રોજગાર કચેરી દ્વારા સંભવીત તારીખ.૦૯/૨૦૨૨ થી વિના મુલ્યે ૩૦ દિવસની નિવાસી તાલીમ આપવામા આવશે. ૬૦ ઉમેદવારોમાંથી ૩૦ અનુસુચીત જન જાતીના ઉમેદવારોને તાલીમ આપવામા આવશે. 

તાલીમમા આર્મી, પોલીસ અને પેરા મીલીટરીના નિવૃત્ત સૈનિક દ્વારા ફીઝિકલ તાલીમ આપવામા આવશે તેમજ તજજ્ઞ વકતા દ્વારા થીયરીની તાલીમ આપવામા આવશે, તાલીમમા રહેવા, જમવા અને સાહિત્ય આપવામા આવશે. તેમજ ૮૦% હાજરી ધરાવતા તાલીમાર્થીને દૈનિક ૧૦૦/- રૂપીયા સ્ટાઈપેન્ડ ચુકવવામા આવશે. તાલીમમા રસ ધરાવતા ઉમેદવારોએ તા.૦૫/૦૯/૨૦૨૨ સુધીમાં જીલ્લા રોજગાર કચેરી, જીલ્લા સેવા સદન, છાપરી, દાહોદનો ૦૨૬૭૩-૨૩૯૧૫૯ તેમજ ૬૩૫૭૩૯૦૩૯૦ પર સંપર્ક કરવા રોજગાર અધિકારીએ જણાવ્યું છે.