ભારતીય જનતા પાર્ટીની કોર કમિટીની બેઠક યોજાઈ તે સંદર્ભે રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું હતું કે, આપણા દેશના વડાપ્રધાન જ્યારે દેશના કોઈપણ રાજ્યમાં જાય છે ત્યારે ખાતમુહ્રત અને લોકાર્પણ કરવા માટે જાય છે. ગુજરાતનાં પ્રવાસ દરમ્યાન રાજ્યને ઘણી વિકાસલક્ષી ભેટ આપી છે અને તેની એક એક ક્ષણ ઉત્સાહ માટેની રહી છે. ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ખાદી ફોર ફેશન, ખાદી ફોર નેશનનું સુત્ર નરેન્દ્રભાઈ મોદી એ આપ્યું હતું.

સાથે જણાવ્યું કે નરેન્દ્રભાઈ મોદીની શરૂઆત ગાંધીના ગુજરાતમાં સાબરમતીના તટે થઇ હતી. કચ્છમાં ઘણા પ્રકલ્પોના ઉદ્ઘાટન થયા છે, સુકા રણમાં પાણી પહોંચાડવાનું કામ હોય કે પછી સ્મૃતિવનને ખીલવવાનું તમામ આયામો નરેન્દ્રભાઈ મોદીના સીધા માર્ગદર્શન નીચે થયેલા કામો પૈકીનાં છે. સુઝુકી નાં 40 વર્ષ અને જાપાનનાં લોકો ભારતમાં આવે, ગુજરાત અને જાપાન એ બંનેના કલ્ચર અને વિકાસની વાત આજે ગુજરાતમાં થઇ છે અને હજારો કરોડના રોકાણો થશે અને તેનાથી રોજગારી અને લાભ થશે.

જીતુભાઈ વાઘાણીજી એ વધુમાં જણાવ્યું કે એ વાતનો આનંદ છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બીજી વખત વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તરીકે પ્રસ્થાપિત થયા છે ત્યારે કમલમમાં આવી ભારતીય જનતા પાર્ટીનાં કામ તેમજ સરકારનાં મહત્વના સેવાકીય કાર્યો જનતા જનાર્દન સુધી છેવાડાના માનવી સુધી કઈ રીતે લઇ જઈ શકાય તેનું માર્ગદર્શન તેમના મારફતે અમને મળ્યું.

વધુમાં જણાવ્યું કે આજે, અમારી વિનંતી એમને સ્વીકારી તે બદલ કોર કમિટી વતી, ગુજરાત ભારતીય જનતા પાર્ટી વતી અને ગુજરાતનાં કાર્યકર્તાઓનું કેન્દ્ર સ્થાન વ્યવસ્થાના ભાગ રૂપી કામ કરતા સૌ આગેવાનો અને કાર્યકર્તાઓ વતી અમે આભાર માનીએ છીએ.