ઝાલાવાડ કોરોનાના કપરા સમય પછી વિઘ્નહર્તાની સાર્વજનિક સ્થાપના કરવા થનગની રહ્યું છે. 2 વર્ષ લોકોએ ઘરમાં જ સ્થાપના કરી ગણેશોત્સવની ઉજવણી કરી હતી. હવે જ્યારે કોરોનાનું વિઘ્ન હળવું થયું છે અને રાજ્ય સરકારે પણ મૂર્તિના કદ પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો છે ત્યારે જિલ્લામાં 650થી વધુ મંડળ ગણપતિની સ્થાપના કરશે. મોંઘવારીને કારણે મૂર્તિના ભાવમાં 10થી 20 ટકાનો વધારો થયો છે પરંતુ લોકોની આસ્થા સામે ભાવવધારાનું વિઘ્ન ટકી શક્યું નથી અને જિલ્લામાં 80 ટકા મૂર્તિઓનું બુકિંગ થયું છે.સુરેન્દ્રનગરમાં મેળાના મેદાનમાં ઝાલાવાડ કા રાજા, જોરાવર કા રાજા, સિદ્ધિવિનાયક ગ્રુપ, વાદીપરા મંડળ ગ્રુપ, માઈમંદિર વિસ્તારમાં ગજાનન ગ્રુપ સ્થાપના કરશે. સોનાપુર રોડ, મેગા મૉલ, વડવાળા કોમ્પલેક્સ, 80 ફૂટ રોડ, દાળમિલ રોડ સહિતના વિસ્તારોમાં ગણેશોત્સવ યોજાશે. વિસર્જન માટે સંયુક્ત પાલિકાએ સ્થળ શોધ્યું નથી પરંતુ સંયુક્ત પાલિકાના એન્જિનિયર કયવંતસિંહ હેરમાએ કહ્યું કે સુરેન્દ્રનગરમાં વિસર્જન માટે પાલિકા કુંડ બનાવશે, જ્યાં લોકો મૂર્તિ વિસર્જિત કરી શકશે.

          કથાકાર પુરાણી જયેશભાઈએ જણાવ્યું હતું કે 31 ઑગસ્ટે સવારે 6-23થી 9-31, મધ્યાહ્્ને 11-10થી 12-40 અને બપોર બાદ 3-50થી 6-45 સુધીનો શુભ સમય છે, જેમાં દુંદાળા દેવની સ્થાપના કરવાથી તમામ વિઘ્ન દૂર થવા સાથે શુભ ફળ મળે છે.