સમય હતો 2014નો દેશભરમાં મોદીજીએ ‘કૉન્ગ્રેસ મુક્ત ભારત’ નારો લગાવ્યો અને ભાજપના દરેક કાર્યકરોએ આ નારાને ઝીલી લીધો અને આ નારો એવો ગુંજયો કે ભાજપને રાજસ્થાન, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, આસામ અને મધ્ય પ્રદેશ પૈકી બે રાજ્યો છત્તીસગઢ અને રાજસ્થાનને બાદ કરવામાં આવેતો આજે બધા જ રાજ્યો કૉન્ગ્રેસનું લગભગ કહી શકાય કે ધોવાણ થઈ ચૂક્યું છે.

જોકે, હવે આજે 2022 વિધાન સભાની ડિસેમ્બરમાં ચૂંટણીઓ છે ત્યારે ગુજરાતમાં ભાજપ કૉન્ગ્રેસ મુક્તનો નારો ઉઠાવી શકે એમ નથી. કારણ કે ગુજરાતમાં બકરુ કાઢતા ઊંટ પેસે તેમ આમ આદમી પાર્ટી એવી રીતે ઘૂસી ગઈ કે કહી શકાય કે ભાજપ અંધારામાં રહ્યું છે અથવા વધુ પડતા આત્મ વિશ્વાસમાં રહ્યું પરિણામે આજે ‘આપ’ એ એક જગ્યા બનાવી લીધી છે. ગુજરાતમાં કોંગ્રેસનું પતન થઈ ચૂક્યું છે અને મોટા ભાગના નેતાઓ કોંગ્રેસ છોડી ભાજપમાં જતા રહ્યા છે કે જેઓ કમસેકમ ભાજપ વિરોધી રોજબરોજ નિવેદનો કરતા હતા તે હવે ભાજપમાં જોડાઈ જતા શાંત થઈ ગયા છે એટલે ભાજપને શાંતિ થઈ ગઈ પણ બીજી તરફ ચુંટણીઓ દરમિયાન ભાજપ માટે મોટો પડકાર આમ આદમી પાર્ટી બની ગઈ છે. ભાજપને ગુજરાતમાં કૉન્ગ્રેસની નહીં પણ આમ આદમી પાર્ટીની ચિંતા સતાવી રહી છે.
હાલ ભાજપનું ટોચનું નેતૃત્વ ગુજરાતમાં કયા મુદ્દે જનજુવાળ ઊભો કરી શકાય તેના માટે સતત મનોમંથનમાં પડ્યું છે, કારણકે ‘કોંગ્રેસ મુક્ત’ અભિયાન લગભગ પાર પાડી દીધું ત્યારે હવે આમ આદમી પાર્ટીનો નવો પડકાર ઉભો થયો છે.