વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27મી ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે આ મુલાકાત દરમિયાન તેઓ કચ્છની સરહદ ડેરીમાં નિર્મિત ગુજરાતના સૌપ્રથમ સોલાર પાવર સંચાલિત મિલ્ક પ્રોસેસિંગ યુનિટનું લોકાર્પણ કરશે.

6 લાખ લીટર સુધી દુધની પ્રોસેસિંગ ક્ષમતા

ગુજરાતના સૌથી મોટા જિલ્લા એવા કચ્છમાં સૌપ્રથમવાર ગુજરાતમાં સોલાર પાવર સંચાલિત મિલ્ક પ્રોસેસિંગ અને પેકેજીંગ પ્લાંટનું ઉદઘાટન પીએમ મોદી કરશે.

અંજાર તાલુકાના ચાંદ્રાણી ખાતે નિર્માણ પામેલા આ પ્લાન્ટની વિશેષતા પર નજર કરીએ તો રાજ્યનો પ્રથમ સોલાર સંચાલિત મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ છે, જેનું રૂપિયા 190 કરોડથી વધુના ખર્ચે નિર્માણ થયું છે. જેની વીજ ઉત્પાદન ક્ષમતા ૩ મેગાવોટ છે અને તે 6 લાખ લીટર સુધી દુધની પ્રોસેસિંગ ક્ષમતા ધરાવે છે.

700થી વધુ મંડળીઓ

હાલ આ ડેરી દ્વારા 700થી વધુ મંડળીઓ પાસેથી દૈનિક ધોરણે 5 લાખ લિટરથી વધુ દુધનું પ્રોસેસિંગ અને પેકેજીંગ કરવામાં આવે છે. જેના કારણે 55 હજારથી વધુ પશુપાલકોને લાભ થઈ રહ્યો છે. આજથી એક દાયકા પહેલા શરુ થયેલી સરહદ ડેરી આજે વિકાસના અનેક સોપાનો સર કરી રહી છે.

ગુજરાતની વિકાસયાત્રામાં શ્વેત ક્રાંતિનું અનેરું મહત્વ છે. હવે કચ્છમાં 'સરહદ ડેરી' - સોલાર પાવર પ્લાન્ટ થકી આ વિકાસયાત્રામાં નવું પરિમાણ ઉમેરશે. આ પરિમાણ સરહદે સમૃદ્ધિના નવા દ્વાર ખોલશે, તે નિશ્ચિત છે.

ગુજરાતનો પ્રથમ સોલાર સંચાલિત મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ

રુ. 190 કરોડના ખર્ચે પ્લાન્ટનું નિર્માણ

3 મેગાવોટ વીજ ઉત્પાદનની ક્ષમતા

6 લાખ લીટર સુધીની પ્રોસેસિંગ ક્ષમતા