દિલ્હીમાં કથિત દારૂ કૌભાંડ મામલે CBI તપાસમાં ઘેરાયેલા નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની મુશ્કેલીઓ વધુ એક મામલામાં વધી શકે છે. આસામની કોર્ટે મનીષ સિસોદિયાને 29 સપ્ટેમ્બરે સમન્સ પાઠવ્યા છે.

દિલ્હીમાં કથિત દારૂ કૌભાંડ મામલે CBI તપાસમાં ઘેરાયેલા નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની મુશ્કેલીઓ વધુ એક મામલામાં વધી શકે છે. કામરૂપની CJM કોર્ટે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં મનીષ સિસોદિયાને સમન્સ પાઠવ્યું છે. તેમને 29 સપ્ટેમ્બરે હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.

આસામના મુખ્યમંત્રીએ 30 જૂનના રોજ કામરૂપ (ગ્રામીણ) સીજેએમ કોર્ટમાં સિસોદિયા વિરુદ્ધ ફોજદારી માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. સિસોદિયાએ આરોપ લગાવ્યો હતો કે આસામ સરકારે સરમાની પત્નીની કંપની પાસેથી માર્કેટ રેટ કરતાં વધુ કિંમતે PPE કિટ ખરીદી હતી. તેમણે દાવો કર્યો હતો કે આસામ સરકારે અન્ય કંપનીઓ પાસેથી 600 રૂપિયાના દરે PPE કિટ ખરીદી હતી, જ્યારે સરમાએ તેમની પત્ની અને પુત્રની માલિકીની કંપનીને કિટ માટે 990 રૂપિયા ચૂકવ્યા હતા. મનીષ સિસોદિયાએ 4 જૂને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ આરોપો લગાવ્યા હતા.

આસામના મુખ્યપ્રધાન પહેલા તેમની પત્ની રિંકી ભુઈયા સરમાએ પણ સિસોદિયા વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. ગૌહાટી કામરૂપ સિવિલ જજની કોર્ટમાં માનહાનિનો સિવિલ કેસ દાખલ કરતી વખતે તેણે નુકસાની તરીકે 100 કરોડ રૂપિયાની માંગણી કરી છે. રિંકી ભુઈંયા અને હિમંતા બિસ્વા સરમાએ સિસોદિયાના આરોપોને નકારી કાઢ્યા અને તેમને ખોટા ગણાવ્યા.

એક પછી એક મુશ્કેલી
સિસોદિયા વિરુદ્ધ આ સમન એવા સમયે જારી કરવામાં આવ્યું છે જ્યારે તેઓ પહેલાથી જ દિલ્હીમાં દારૂની નીતિથી ઘેરાયેલા છે. સિસોદિયા, જેમની પાસે શિક્ષણની સાથે એક્સાઇઝ વિભાગ છે, તેઓ CBI તપાસનો સામનો કરી રહ્યા છે. હાલમાં જ સીબીઆઈએ તેમના ઘરે પણ દરોડા પાડ્યા છે. જો કે મનીષ સિસોદિયાએ પોતાના પર લાગેલા આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે કેજરીવાલની વધતી જતી લોકપ્રિયતાને કારણે ભાજપ આવા આરોપો લગાવી રહી છે.