ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ ઉજવવામાં ભક્તોમાં અનેરો ઉત્સાહ છે ઠેર ઠેર મટકી ફોડના કાર્યક્રમોના આયોજન થયા છે ત્યારે મધ્ય ગુજરાતમાં આવેલા પવિત્ર યાત્રાધામ ડાકોરમાં આજે ભગવાન શ્રી કૃષ્ણ ના જન્મોત્સવ ઉજવવા તેમજ દર્શન કરવા મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા છે.

જન્માષ્ટમી પર્વ નિમિત્તે ડાકોરમાં ભગવાન રણછોડરાયજીના મંદિરે વહેલી સવારની મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઊમટી પડયા હતા અને ‘જય રણછોડ માખણ ચોર’, ‘નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી’ના નારા સાથે મંગળા આરતીનો લાભ લીધો હતો. શ્રીકૃષ્ણના જન્મદિવસની ઉજવણી અને દર્શન માટે અમદાવાદ, વડોદરા, સુરત, ભરૂચ તેમજ દેશ વિદેશથી ભાવિકો ડાકોરમાં ઊમટી પડ્યા છે.

મંદિરને આસોપાલવનાં તોરણોથી સમજાવાયું છે તેમજ મંદિરમાં અંદરના ભાગે તેમજ બહારના ભાગે રોશની કરવામા આવી છે.
આજે વિવિધ ભજન મંડળીઓ કૃષ્ણનાં ભજનોની રમઝટ બોલાવશે. ઉપરાંત ભગવાનને વિવિધ શણગારથી સજાવવામાં આવ્યા છે અને મધરાતે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. પારણે ઝુલાવીને ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવશે.
આજે સવારથીજ ભક્તોનો અવિરત પ્રવાહ ચાલુ રહયો છે.
સમગ્ર ડાકોર નગરીમાં ઉત્સવની ઉજવણીનો માહોલ છે અને લોકો આજેભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં તરબોળ બન્યા છે.