વેજલપુર મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સર્વોદય લઘુમતી હાઇસ્કુલમાં ધોરણ ૧૦-૧૨ ના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો
કાલોલ તાલુકાના વેજલપુર ગામે આવેલ વેજલપુર મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સર્વોદય લઘુમતી હાઇસ્કુલમાં ધોરણ ૧૦-૧૨ ના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો જેમાં વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે પંચમહાલ પોલીસ પરિવાર તથા સર્વોદય વિકાસ ટ્રસ્ટ સંચાલિત જે.સી. એજ્યુકેશન - વેજલપુરના સંયુક્ત ઉપક્રમે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.આ શિબિર ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ માટે છે જેઓ આગામી સમયમાં ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાઓ આપી પોતાની કારકિર્દીની સફર શરૂ કરવા જઈ રહ્યા છે. આ કાર્યક્રમને "તેજસ્વી તારલાઓની માર્ગદર્શન શિબિર" નું નામ આપવામાં આવ્યું છે.પંચમહાલ પોલીસ પરિવાર દ્વારા આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં પ્રોત્સાહન પૂરું પાડવાનો હતો. મંચ પરથી બોલતા વેજલપુર પોલીસ સ્ટેશનના પી.આઈ દ્વારા જણાવ્યું કે, આવા કાર્યક્રમોથી અન્ય બાળકોમાં પણ ભણવાની અને મંચ પર આવી પોતાની પ્રતિભા દર્શાવવાની પ્રેરણા જાગે છે. દીકરીઓના શિક્ષણ પર ભાર મૂકતા કહ્યુ હતું કે, જ્યારે એક દીકરી ભણે છે ત્યારે તે માત્ર પોતાનું જ નહીં, પરંતુ પિયર અને સાસરી એમ બે ઘરને સુધારે છે. આજના યુગમાં દીકરીઓને ઉચ્ચ શિક્ષણ આપી સ્વાવલંબી બનાવવી એ સમયની માંગ છે.કાર્યક્રમમા વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, શિક્ષણ એક એવી મિલકત છે જેને કોઈ છીનવી શકતું નથી. બાબા સાહેબ આંબેડકરના વિચારોને ટાંકીને વક્તાએ ભારપૂર્વક જણાવ્યું કે, "શિક્ષણ એ સિંહણનું દૂધ છે" અને તે દરેક વ્યક્તિના ઉત્થાન માટે અનિવાર્ય છે.અને આમ કાર્યક્રમના અંતે તેજસ્વી વિદ્યાર્થીઓને ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. અને દરેક વિદ્યાર્થીઓને ઈનામમાં ૫૦૦ રૂપિયા ગોધરાના ઉદ્યોગપતિ હાજી ફિરદૌસ કોઠી દ્વારા આપવામાં આવ્યા હતા અને કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ વાલીઓ અને વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને તેમના માતા-પિતાનું નામ રોશન કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વેજલપુર પોલીસ વિભાગના પી.આઈ તેમજ પી.એસ આઈ તેમજ હાજી ફિરદૌસ કોઠી બિલાલ ભાઈ નાના વેજલપુર ભાજપ જિલ્લા પંચાયતના સભ્ય નિરજકુમાર પેટલ તેમજ સામાજિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.