ડીસામાં પરિણીતા ને દહેજ માટે ત્રાસ, પતિ, સાસુ અને દેરાણી સામે નોંધાઈ ફરિયાદ..

ડીસા તાલુકાના ગેનાજી ગોળીયાની 35 વર્ષીય પરિણીતા રેખાબેન કાન્તીભાઈ માળીએ પોતાના પતિ, સાસુ અને દેરાણી વિરુદ્ધ દહેજ, શારીરિક-માનસિક ત્રાસ અને ઘરમાંથી કાઢી મૂકવા અંગે ડીસા રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, હાલ તેઓ પિયરમાં રહે છે..

રેખાબેન ના પ્રથમ લગ્ન 2011માં થયા હતા, જે ૨૦૧૩માં છૂટાછેડામાં પરિણમ્યા હતા, ત્યાર બાદ 2014 માં તેમના બીજા લગ્ન પાલનપુર તાલુકાના રણાવાસ ગામે રહેતા કાન્તીલાલ હેમતાજી માળી સાથે સામાજિક રીત-રિવાજ મુજબ થયા હતા, આ લગ્નજીવન થી તેમને બે પુત્રો છે..

ફરિયાદ મુજબ, આશરે અઢી વર્ષ પહેલાં રેખાબેન ના દિયરનું અકસ્માતમાં અવસાન થયું હતું, ત્યારબાદ તેમની દેરાણી શીલ્પાબેન બાળકો સાથે રેખાબેન ના ઘરે રહેવા આવ્યા હતા, આ સમયગાળા દરમિયાન, પતિ કાન્તીલાલ દેરાણી પ્રત્યે વધુ લગાવ રાખવા લાગ્યા હતા..

જ્યારે પત્નીએ આ બાબતે ટોક્યા, ત્યારે પતિ કાન્તીલાલ, સાસુ ઈન્દીરાબેન અને દેરાણી શીલ્પાબેને એકસંપ થઈ રેખાબેન ને દહેજ બાબતે મેણાં મારવાનું શરૂ કર્યું, તેઓ કહેતા કે, "તારા પિતાએ દહેજમાં કંઈ આપ્યું નથી " ગત તારીખ 13-03-2025 ના રોજ આ ત્રણેયે પરિણીતા સાથે મારઝૂડ કરી તેમને ઘરમાંથી કાઢી મૂક્યા હતા..

આ ઘટના પહેલાં પણ રેખાબેને પોલીસ માં અરજી કરી હતી, પરંતુ સાસરી પક્ષના લોકો માન્યા ન હતા અને તેમને તેડવા આવ્યા ન હતા, આખરે કંટાળીને પરિણીતાએ આજે પોતાના ભાઈ સાથે આવીને ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ કાયદેસર ની તપાસ માટે ડીસા રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે..