પાવીજેતપુરના પાની ગામ પાસે ટ્રક અને મોટરસાયકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ૨૦ વર્ષના યુવાનનું મોત

પાવીજેતપુર, તા.૨૧

પાવીજેતપુર તાલુકાના પાની ગામના જાહેર રોડ પર એક ટ્રક અને મોટરસાયકલ વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ૨૦ વર્ષીય યુવાનનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી છે.

           મળતી માહિતી મુજબ, મોટા અમાદરા ગામે મજૂરી કામ કરતા મગનભાઈ હિમજીભાઈ રાઠવા અને નિલેશભાઈ અનસિંગભાઈ રાઠવા (રહે. વાંકોળ, તા. ઘોઘંબા, જી. પંચમહાલ) બપોરના સમયે પોતાના મિત્રની મોટરસાયકલ લઈને બાર ગામે ઢેબરા લેવા જઈ રહ્યા હતા. આ દરમિયાન પાની ગામ પાસે રોડ પર જઈ રહેલી હાઈવા ટ્રકને ઓવરટેક કરવા જતાં, આગળ ઉભેલી એક ઇકો ગાડીના ચાલકે અચાનક ગાડી રિવર્સમાં લેતા મોટરસાયકલ ઇકો સાથે અથડાઈને ટ્રક નીચે આવી ગઈ હતી. જેમાં મગનભાઈ હિમજીભાઇ રાઠવા ને પગમાં તેમજ નિલેશભાઈ રાઠવાનાને શરીરે છાતીના ભાગે, માથાના ભાગે, તેમજ પેટના ભાગે ગંભીર ઇજાઓ થવા પામી હતી. 

        અકસ્માતને પગલે ગંભીર રીતે ઘવાયેલા બંને યુવાનોને તાત્કાલિક કદવાલ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી નિલેશભાઈની હાલત વધુ નાજુક જણાતા તેમને વડોદરા રીફર કરવામાં આવ્યા હતા. જોકે, વડોદરા જતી વખતે જરોદ પાસે તેમની તબિયત વધુ લથડતા જરોદ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.

         અકસ્માત સર્જી હાઈવા ટ્રકનો ચાલક વાહન સ્થળ પર જ મૂકીને ફરાર થઈ ગયો હતો. મૃતકના ભાઈની ફરિયાદને આધારે પોલીસે ગફલતભરી રીતે ટ્રક હંકારી મોત નીપજાવવા બદલ ટ્રક ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે વાંકોળ અને પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.