પાવીજેતપુર: રાયપુર બેઠક પર ભાજપનો આંતરિક વિખવાદ શમ્યો, બળવો કરનાર કાર્યકરે પુત્રવધૂનું ફોર્મ પરત ખેંચ્યું
મોવડી મંડળની સમજાવટ સફળ રહી; ટિકિટ વિતરણથી નારાજ બીપીનભાઈ રાઠવાએ આખરે પક્ષના શિસ્તને સ્વીકારી
પાવીજેતપુર તાલુકાની રાયપુર તાલુકા પંચાયત બેઠક પર છેલ્લા કેટલાક દિવસોથી ચાલતા રાજકીય ડ્રામાનો આખરે અંત આવ્યો છે. ભાજપ સામે બળવો પોકારી પોતાની પુત્રવધૂને અપક્ષ તરીકે મેદાનમાં ઉતારનાર સક્રિય કાર્યકર બીપીનભાઈ રાઠવાએ પક્ષના મોવડી મંડળ સાથેની બેઠક બાદ સમાધાનનો માર્ગ અપનાવ્યો છે અને તેમની પુત્રવધૂનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધું છે.
ભાજપના બૂથ પ્રમુખ અને પૂર્વ તાલુકા સદસ્ય બીપીનભાઈ રાઠવાએ ટિકિટ વિતરણમાં અન્યાયનો આક્ષેપ કર્યો હતો. તેમનું કહેવું હતું કે પક્ષે મોટા જનસમૂહ ધરાવતા વિસ્તારને અવગણીને ઓછા મતદારો વાળા વિસ્તારમાં ટિકિટ આપી છે. આ નારાજગીને પગલે તેમણે પોતાની પુત્રવધૂ કૃતિકાબેન નવીનભાઈ રાઠવાને અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા હતા, જેનાથી ભાજપની જીતના સમીકરણો જોખમાય તેવી સ્થિતિ સર્જાઈ હતી.
રાજકીય ગરમાવો વધતા ભાજપનું સ્થાનિક અને જિલ્લા મોવડી મંડળ હરકતમાં આવ્યું હતું. બીપીનભાઈ સાથે વ્યક્તિગત મુલાકાત અને સમજાવટના અંતે, પક્ષના હિતમાં તેમણે નમતું જોખ્યું હતું. બીપીનભાઈએ તેમની પુત્રવધૂ કૃતિકાબેનનું ફોર્મ પરત ખેંચી લીધું છે. આ નિર્ણય સાથે જ રાયપુર બેઠક પર ભાજપના મતોનું વિભાજન થતું અટક્યું છે.
શરૂઆતમાં "જીત્યા પછી ફરી ભાજપમાં જોડાઈશું" તેવા નિવેદન આપનાર બીપીનભાઈ હવે પક્ષના સત્તાવાર ઉમેદવારને જીતાડવા માટે કામે લાગશે તેવું જણાઈ રહ્યું છે. આ ઘટનાક્રમ બાદ રાયપુર પંથકમાં કાર્યકરો વચ્ચે ફેલાયેલી અસમંજસ દૂર થઈ છે અને ભાજપે રાહતનો શ્વાસ લીધો છે.