પાવીજેતપુર તાલુકાના શ્રી શાસ્ત્રી વિદ્યાલય, શીથોલ દ્વારા મતદાન જાગૃતિ રેલીનું ભવ્ય આયોજન
લોકશાહીને મજબૂત બનાવવા ગ્રામજનોને ૧૦૦ ટકા મતદાન કરવા અપીલ કરાઈ
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીના માહોલ વચ્ચે મતદારોમાં જાગૃતિ લાવવા માટે ‘સ્વીપ’ (SVEEP) કાર્યક્રમ અંતર્ગત શ્રી શાસ્ત્રી વિદ્યાલય, શીથોલ ખાતે વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા ગામમાં એક વિશાળ મતદાન જાગૃતિ રેલી યોજાઈ હતી.
આ રેલીનું આયોજન સ્વીપ નોડલ ઓફિસર પ્રદિપ વાઘેલા તથા શાળાના આચાર્ય શાહિદ શેખના સીધા માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી ચૂંટણીમાં લોકો પોતાના મતાધિકારનો પવિત્ર ઉપયોગ કરે અને લોકશાહીના પર્વમાં સહભાગી બને તેવો રહ્યો હતો.
પાવીજેતપુર તાલુકાના શીથોલ ગામના મુખ્ય માર્ગો પર ફરી વળેલી આ રેલીમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ‘મતદાન આપણો મૂળભૂત અધિકાર છે’ અને ‘ચાલો મતદાન કરીએ’ જેવા ગગનભેદી સૂત્રોચ્ચારથી સમગ્ર ગામ ગુંજી ઉઠ્યું હતું. હાથમાં પ્લેકાર્ડ્સ અને બેનરો સાથે વિદ્યાર્થીઓએ મજબૂત લોકશાહી માટે મતના મહત્વની સમજ આપી હતી. રેલી દરમિયાન એકત્ર થયેલા ગ્રામજનોને સંબોધતા અગ્રણીઓએ જણાવ્યું હતું કે ભારત દુનિયાનો સૌથી મોટો લોકશાહી દેશ છે અને તેને વધુ મજબૂત બનાવવા માટે દરેક નાગરિકનો મત કિંમતી છે. ગ્રામજનોને કોઈપણ લોભ-લાલચ વગર અને અચૂકપણે ૧૦૦ ટકા મતદાન કરવા માટે આહવાન કરવામાં આવ્યું હતું. ગ્રામજનોના સકારાત્મક પ્રતિસાદ સાથે આ મતદાન જાગૃતિ રેલી સંપૂર્ણપણે સફળ રહી હતી.