પાવીજેતપુર જિલ્લા પંચાયતની ૪ બેઠકો પર ૧૩ અને તાલુકા પંચાયતની ૧૮ બેઠકો પર ૫૭ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો મુકાબલો

છોટાઉદેપુર જિલ્લામાં આગામી ૨૬ એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય પારો ચરમસીમાએ પહોંચ્યો છે. પાવીજેતપુર પંથકમાં જિલ્લા પંચાયતની ૪ બેઠકો ઉપર ૧૩ ઉમેદવારો અને તાલુકા પંચાયતની ૧૮ બેઠકો માટે ૫૭ ઉમેદવારો રહ્યા છે. આખરી ચિત્ર સ્પષ્ટ થતા જ હવે ઉમેદવારો વચ્ચે સીધો જંગ જામ્યો છે.

જિલ્લા પંચાયત ૪ બેઠકો પર ત્રિપાંખિયો જંગ જોવા મળી રહ્યો છે.

પાવીજેતપુર પંથકની જિલ્લા પંચાયતની ૪ બેઠકો પર કુલ ૧૩ ઉમેદવારો મેદાનમાં છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે અહીં કાંટાની ટક્કર જોવા મળી રહી છે.

 જેતપુર બેઠક:

 શિતલબેન બારીયા (ભાજપ), સપનાબેન બારીયા (કોંગ્રેસ) અને રશ્મિકાબેન રાઠવા (AAP) વચ્ચે જંગ છે.

 મોટી આમરોલ બેઠક: ઉપેન્દ્રભાઈ રાઠવા (ભાજપ), કાજલભાઈ રાઠવા (કોંગ્રેસ) અને સીતાબેન રાઠવા (AAP) ચૂંટણી લડી રહ્યા છે.

 સજવા બેઠક:

ભરતભાઈ રાઠવા (ભાજપ), કનુભાઈ રાઠવા (કોંગ્રેસ) અને અમરસિંગભાઈ રાઠવા (AAP) સામસામે છે.

 ઠલકી બેઠક:

 અહીં સૌથી વધુ ૪ ઉમેદવારો છે. વનીતાબેન રાઠવા (ભાજપ), જશીબેન રાઠવા (કોંગ્રેસ), દુર્ગાબેન રાઠવા (AAP) અને વિધાબેન રાઠવા (અપક્ષ) વચ્ચે મુકાબલો છે.

તાલુકા પંચાયત: ૧૮ બેઠકો માટે ૫૭ દાવેદારો મેદાનમાં રહ્યા છે.

તાલુકા પંચાયતની સ્થિતિ પર નજર કરીએ તો, કુલ ૧૮ બેઠકો માટે ચૂંટણી યોજાનાર છે. શરૂઆતમાં ૫૮ ફોર્મ ભરાયા હતા, પરંતુ એક ફોર્મ પરત ખેંચાતા હવે ૫૭ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે.

 પક્ષવાર ઉમેદવારો:

 ભાજપ (૧૮), કોંગ્રેસ (૧૮), આમ આદમી પાર્ટી (૧૮) અને અપક્ષ (૩) મળી કુલ ૫૭ ઉમેદવારો વચ્ચે ખરાખરી નો જંગ જામનાર છે 

ચૂંટણી તંત્ર દ્વારા ફાઈનલ યાદી જાહેર થતાની સાથે જ ગ્રામ્ય વિસ્તારોમાં પ્રચારના શ્રીગણેશ થઈ ગયા છે. ૨૬ એપ્રિલે થનારા મતદાનમાં જનતા કોના પર પસંદગીનો કળશ ઢોળશે તે જોવું રહ્યું.