પાવીજેતપુરના ૧૨૫ વિદ્યાર્થીઓએ ‘રાષ્ટ્રીય આવિષ્કાર એક્સપોઝર વિઝીટ’ અંતર્ગત શૈક્ષણિક પ્રવાસનો આનંદ માણ્યો
રૈયોલી ડાયનાસોર પાર્ક અને ટુવા ગરમ પાણીના ઝરા બન્યા આકર્ષણનું કેન્દ્ર; ભાજપા જિલ્લા પ્રમુખે કરાવી પ્રસ્થાન વિધિ
વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન, ઇતિહાસ અને સંસ્કૃતિ પ્રત્યે રુચિ જાગૃત કરવાના ઉમદા હેતુથી બી.આર.સી. ભવન પાવીજેતપુર દ્વારા 'રાષ્ટ્રીય આવિષ્કાર એક્સપોઝર વિઝીટ'નું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. આ શૈક્ષણિક પ્રવાસમાં તાલુકાની વિવિધ શાળાઓના ૧૨૫ વિદ્યાર્થીઓ અને ૯ શિક્ષકો જોડાયા હતા.
આ પ્રવાસનો પ્રારંભ જિલ્લા ભાજપા પ્રમુખ શ્રી ઉમેશભાઈના હસ્તે લીલી ઝંડી આપીને કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે તેમણે વિદ્યાર્થીઓને પ્રવાસ દરમિયાન જીજ્ઞાસુ બની નવું શીખવા પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમમાં શિક્ષક સંઘના પ્રમુખશ્રીઓ નરેન્દ્રભાઈ અને દિલીપભાઈ પણ ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓએ વિવિધ સ્થળોની મુલાકાત લઈ જ્ઞાન મેળવ્યું હતું:
ધાબા ડુંગરી: કુદરતી સૌંદર્ય અને ભૌગોલિક પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું. ટૂવા ગરમ પાણીના ઝરા: કુદરતી ઝરા પાછળનું ભૂગર્ભીય વિજ્ઞાન સમજી વિદ્યાર્થીઓ આશ્ચર્યચકિત થયા હતા.
ડાયનાસોર પાર્ક (રૈયોલી): વિદ્યાર્થીઓએ લાખો વર્ષ પૂર્વેના વિલુપ્ત જીવોના અવશેષો અને ઈતિહાસ વિશે રોમાંચક માહિતી મેળવી હતી.
ડાકોર: અંતિમ ચરણમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે રણછોડરાયજીના દર્શન કરી આધ્યાત્મિક ધન્યતા અનુભવી હતી.
પ્રવાસના અંતે પાવીજેતપુર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મનીષભાઈ પટેલ દ્વારા તમામ સ્ટાફ અને વિદ્યાર્થીઓ માટે અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી. બી.આર.સી. ભવન પાવીજેતપુર વતી આ પ્રવાસને સફળ બનાવવા બદલ તમામ સીઆરસી મિત્રો, શિક્ષક-શિક્ષિકા બહેનો અને બ્લોક સ્ટાફનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સમગ્ર પ્રવાસ શિસ્તબદ્ધ અને શૈક્ષણિક રીતે ફળદાયી રહ્યો હતો.